રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આવતીકાલે તા.૭મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહની સાથે સાથે સહેજ ગભરાહટ અને થોડા ટેન્શનની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે બીજીબાજુ, રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.
બોર્ડની પરીક્ષા પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. પરીક્ષા દરમિયાન સ્કૂલ દ્વારા મોકલાતી સીસીટીવીની સીડી દરરોજ મોનિટરિંગ કરવા અધિકારીઓની ખાસ ટીમ તૈયાર કરાઇ છે. તો, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર વોચ રાખવા સરકાર દ્વારા પણ સમગ્ર વ્યવસ્થાતંત્ર ગોઠવી દેવાયું છે. ગુજરાતમાં તા.૭થી ર૩ માર્ચ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે. ત્યારે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાથી આપી શકે તે માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે કુલ ૧૩૭ ઝોનમાં આવેલા ૧૬૦૭ કેન્દ્રો કે જેમાં ૫૮૭૪ બિલ્ડીંગોનો સમાવેશ થાય છે. તેના ૬૩૬૧૫ પરીક્ષા ખંડોમાં પરીક્ષાઓ લેવાશે. બન્નેેની આ પરીક્ષાઓમાં કુલ ૧૩૫ જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાશે. પરીક્ષાની કામગીરીમાં કુલ ૮પ,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત રહેશે. આ બંને પરીક્ષાઓમાં કુલ ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ ૮૧ અને એચ.એસ.સી. માટે કુલ ૫૬ ઝોનની રચના કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે, રાજય તથા જિલ્લાના વહીવટી તંત્રએ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે ત્યારે હોંશિયાર તથા પ્રામાણિક વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો અન્યાય થશે નહીં તે માટે વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહે. આવતીકાલે તા.૭મી માર્ચથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ શરૂ થાય છે ત્યારે તા.૭મી માર્ચના રોજ પરીક્ષાઓ શરૂ થતાં પહેલા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુરૂકુળ માધ્યમિક શાળા, સેકટર-ર૩, ગાંધીનગર ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવશે. ધોરણ-૧૦ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહના પ,૩૩,૬૨૬ અને વિજ્ઞાન પ્રવાહના ૧,પ૭,૬૦૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે તે અંતર્ગત માર્ચ-૨૦૧૯ની પરીક્ષાઓ માટે ધોરણ-૧૦ના ૮૯ ધોરણ-૧૨ના ૩૬ મળી કુલ ૧૨૫ બંદીવાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ આપશે.ધોરણ-૧રના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ફીઝીકસ, બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પ્રેકટીકલ જ્ઞાન સારી રીતે મેળવી શકે તે માટે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.પ૦ લાખ વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાઓનો પહેલ રૂપ પ્રયોગ પણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાઓમાં ખાસ તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ પરીક્ષાઓના સ્થળ પર રાજય સરકારની સૂચનાથી જિલ્લાના વર્ગ-૧ તેમજ વર્ગ-રના અધિકારીઓ પરીક્ષાના ૩ કલાકના પુરા સમય માટે ઓબ્ઝર્વર તરીકે મૂકવાની વ્યવસ્થા અમલી બનશે. આ ઉપરાંત રાજયકક્ષાએથી અને જિલ્લાકક્ષાએથી તકેદારી ટુકડીઓની વ્યવસ્થાઓ પણ ગોઠવાયેલ છે. રાજયના તમામ પરીક્ષા સ્થળો ખાતે અંદાજે ૬૩,૦૦૦ જેટલા પરીક્ષા ખંડો સી.સી.ટીવી. કવરેજથી સજજ રહેશે. જયાં સી.સી.ટીવી કેમેરાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી ત્યાં રાજય કક્ષાએથી અંદાજીત ૫૦૯ જેટલા ટેબલેટ મૂકવામાં આવેલ છે.
આગળની પોસ્ટ