જેમની મહેનત દેશનો આધાર, તેમના પેન્સનના સપના સાકાર એવા પ્રેરક સૂત્ર આધારીત ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્સન યોજના(પીએમએસવાયએમ)નો સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે ગુજરાત રીફાઇનરી ટાઉનશીપમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા સહિતના પાંચ જિલ્લાઓમાં શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા પ્રશાસન અને કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન(ઇપીએફઓ) વડોદરા ક્ષેત્ર ધ્વારા ગુજરાત રીફાઇનરી-આઇઓસીએલના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેતમજુરો સહિતના લાભાર્થીઓને પેન્સન પાત્રતા કાર્ડસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ભારત સરકારે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી માસીક રૂ. ૧૫ હજાર સુધીની આવક ધરાવતા સંગઠિત કામદારોને મળતા પીએફ સહિતના લાભોથી વંચિત અસંગઠિત કારીગરોમાટે આ પેન્સન યોજના શરૂ કરી છે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષ સુધીના કારીગરો જોડાઇ શકે છે અને માસીક રૂ. ૫૫ થી રૂ. ૨૦૦/- સુધીના ફાળાની સામે ૬૦ વર્ષની ઉંમરે માસીક રૂ.૩૦૦૦/-નું નિશ્ચિત પેન્સન મેળવવા હકદાર બને છે.
ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારના બજેટમાં જેની જોગવાઇ કરવામાં આવી એવી આ પેન્સન યોજનાના અમલમાં ગુજરાત દેશમાં અને ઇપીએફઓ ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા હેઠળ, વડોદરા સહિતના ૦૫ જિલ્લાઓ ગુજરાતમાં પહેલા નંબરે છે.