Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ : શિવરાત્રિ પર સંગમમાં શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી

મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રયાગરાજમાં આજે મહાકુંભના અંતિમ સ્નાનમાં ત્રિવેણી સંગમ ખાતે વહેલી સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રીને લઇને પ્રયાગરાજમાં પહેલાથી જ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. આજે કુંભમાં અંતિમ સ્નાનને ધ્યાનમાં લઇને વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ૧૫મી જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભ મેળાના આજે અંતિમ દિવસે પણ કરોડો લોકો સંગમ નગરી પહોંચ્યા હતા. આજે મહાકુંભ મેળાની પૂર્ણાહૂતિ થઇ હતી. આજે સોમવારના દિવસે મહાશિવરાત્રી હોવાથી સોમવતી શિવરાત્રીની સાથે સાથે ૫૧ વર્ષ બાદ અદ્દભુત પુણ્યકારી સંયોગ રહ્યો હતો જેથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. વહેલી સવારે સ્નાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે ૭ વાગ્યા સુધી શુભ મુહુર્તમાં શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. સવારમાં મહાઆરતી બાદ મંદિરોના પટ શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા હતા. એક દિવસ પહેલા જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. એક કરોડની આસપાસ લોકોએ આજે આસ્થાની ડુબકી લગાવી હતી. પુલવામામાં આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહી રુપે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા ઉપર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધેલી છે અને ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે મહાકુંભમાં પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ વરિષ્ઠ લોકોએ આ વખતે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી હતી. ૧૫મી જાન્યુઆરીના દિવસે કુંભની શરૂઆત થયા બાદ મહાકુંભમાં દરરોજ લાખો લોકો હાલમાં પહોંચી રહ્યા હતા. આ પહેલા ૧૯મી ફેબ્રુઆરીના દિવસે માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં પવિત્ર સ્નાનના ભાગરૂપે કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. આજે સોમવારના દિવસે શિવરાત્રીના પ્રસંગે પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. કુંભ ખાતે પહોંચેલા શ્રદ્ધાળુઓ જુદી જુદી ધાર્મિક વિધી કરતા નજરે પડ્યા હતા. સ્નાનને લઇને જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. કુંભ મેળાને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે જોરદાર આયોજન કરાયું હતું. આના ભાગરૂપે રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. કુંભ મેળા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી હતી. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી હતી. આ વખતે કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટોની સુવિધા માટે દેશના દરેક રેલવે ઝોનથી છ ટ્રેનો દોડાવવામાં આવી રહી હતી. અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ૪ ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા હતા. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયા બનાવવામાં આવ્યા હતા. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા હતા. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીંપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન થાય છે.

Related posts

आईटी के सामने फिर पेश नहीं हुई लालू की बेटी मीसा भारती

aapnugujarat

રામમંદિર મામલે કાયદો ઘડવા ૫૪૩ સાંસદોને મળશે વીએચપી

aapnugujarat

किराएदारों को बिजली के बिल पर केजरीवाल सरकार देगी सब्सिडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1