અમદાવાદ શહેરને ગ્રીનસિટી બનાવવાની જાહેરાત કરનારા શાસક પક્ષની નજર સામે જ પશ્ચિમ વિસ્તારમાં આવેલા અખબારનગર રેલવે ક્રોસીંગ રોડ ઉપર ઉગી ગયેલા અંદાજિત ૧૦૦ જેટલા લીલાછમ્મ વૃક્ષો આ સ્થળે મેટ્રો પ્રોજેકટની કામગીરી કરવાના ભાગરૂપે દુર કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં આ મામલે ઉગ્રરોષ જોવા મળી રહ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,શહેરના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી છેલ્લા ઘણાં સમયથી મેટ્રો રેલ પ્રોજેકટ માટેની કામગીરી ચાલી રહી છે.સરકારની એક મહત્વાકાંક્ષા એ છે કે આ વર્ષના અંત સુધીમાં પ્રાથમિક ધોરણે આ રૂટ ઉપર મેટ્રો ટ્રેન દોડતી થઈ જાય.જેથી આવનારા સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે.તે સમયે આ રૂટ શરૂ કરાવ્યો એવો દાવો મતદારો સમક્ષ રજુ કરી શકાય.આ સાથે જ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક સ્થળોએ મેટ્રો રેલ પ્રોજેકટ માટેની કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે.જેમાં શહેરના વિજય ચાર રસ્તા, અખબારનગર સહીત અન્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.શહેરના અખબારનગર ક્રોસરોડથી નેતાજી ક્રોસરોડ સુધીના સમગ્ર માર્ગ ઉપર થોડા સમય પહેલાં જ્યાં અંદાજિત ૧૦૦ જેટલા ઘટાદાર વૃક્ષોથી હરીયાળી આ વિસ્તારમાં જોવા મળી રહી હતી.ઉપરાંત જ્યાં જતા આવતા લોકો બપોરની કાળઝાળ ગરમીમાં થોડો સમય આ વૃક્ષો નીચે ઉભા રહી ઠંડક મેળવતા હતા એવા અખબારનગર રેલવે ક્રોસીંગ રોડ ઉપર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીને લઈને આ તમામ વૃક્ષો મેટ્રો પ્રોજેકટ દ્વારા દુર કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.શહેરના મેયર ગૌતમ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ દ્વારા આ વર્ષે ફેબ્રૂઆરી માસમાં મંજુર કરાવેલા રૂપિયા ૬૫૫૧ કરોડના વાર્ષિક બજેટમાં અમદાવાદ શહેરને ગ્રીન સિટી બનાવવાની ભ્રામક જાહેરાત કરી હતી.આ જાહેરાતની વચ્ચે શહેરના વધુ એક વિસ્તારમાં આવેલા વર્ષોની મહેનત બાદ ઉગેલા ૧૦૦ જેટલા વૃક્ષો મેટ્રો પ્રોજેકટ માટે દુર કરવામાં આવ્યા છે.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં મેટ્રો પ્રોજેકટ માટે ૨૧૦૦થી પણ વધુ વૃક્ષોને દુર કરવામાં આવ્યા છે.