વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ચાર રસ્તા પાસે દહેલી ગામમાં રહેતા અને ધોરણ ૧૦નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એક્સિડન્ટ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.બાદમાં વિદ્યાર્થીના અંગોના દાન કરાયું હતું.કોળી પટેલ સમાજના બ્રેનડેડ મીત ભરતભાઈ પટેલના પરિવારે કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે.
ભીલાડમાં આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં ૧૬ વર્ષિય મીત ભરતભાઈ પટેલ પિતા સાથે ગત ૨૬મીના બાઈક પર બેસીને ઝેરોક્ષ કરાવવા જઈ રહ્યો હતો. ત્યારે ભીલાડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મીત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. તેને માથામાં તેમજ કમર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તેથી તેને તાત્કાલિક વાપીમાં આવેલ રેઈન્બો હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની મહાવીર ટ્રોમા હોસ્પીટલમાં રાત્રે સાડા અગિયાર કલાકે ડૉ. કરસન નંદાનીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ થઇ ગયું હતું. તેમજ મગજ ઉપર સોજો હોવાનું નિદાન થયું હતું. અને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી રતનબેન સંદીપ વાઘેલા ઉ.વ. ૩૬, બીજી કિડની ભરૂચના રહેવાસી રાજેન્દ્રસિંહ મુળજીભાઈ સયાનીયા ઉ.વ.૬૬, લિવર અમદાવાદના રહેવાસી અલ્પેશ દિનેશચંદ્ર ભલાણી ઉ.વ. ૪૫, જયારે સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ માંગરોળના રહેવાસી પોપટભાઈ મેરૂભાઈ ઓડેદરા ઉ.વ. ૩૯માં અમદાવાદની આઈકેડીઆરસી ખાતે ડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.