ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિના અહેવાલ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી સમયસર થશે. ચૂંટણી પંચે આજે કહ્યું હતું કે, આના માટે તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થશે. આ પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે, લોકસભાની ચૂંટણીને આગળ વધારવામાં આવી શકે છે. ઇવીએમના પ્રશ્ન ઉપર તેમણે કહ્યું હતું કે, આ મામલાને રાજકારણીઓ દ્વારા ફુટબોલ બનાવી દેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ કહ્યું હતું કે, ઇવીએમના મુદ્દાને બિનજરૂરીરીતે ચગાવવામાં આવી રહ્યો છે. પરિણામ યોગ્ય છે તો ઇવીએમ યોગ્ય છે અને પરિણામ બરોબર નથી તો ઇવીએમ ખરાબ છે તેવી બાબત સપાટી ઉપર આવી રહી છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, ફોર્મ ૨૬માં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે ઉમેદવારના પતિ, પત્નિ, બાળકો, અન્યોના પાંચ વર્ષની આવક અંગેની માહિતી આપવી પડશે. સાથે સાથે દેશની સાથે જ વિદેશમાં રહેલી સંપત્તિ અંગે પણ માહિતી આપવી પડશે. ભારત પાક વચ્ચેની તણાવભરી સ્થિતિ જોતાં આગામી લોકસભાની ચૂંટણી પાછી ઠેલાવાની શક્યતાઓ વચ્ચે ચૂંટણી પંચે આજે મહત્વનું નિવેદન આપ્યું છે. લોકસભા ચૂંટણી સમયસર જ થશે એવું નિવેદન આપતાં ચૂંટણી પંચ નિયત સમયે ચૂંટણીઓ યોજવા માટે કટીબધ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચના નિવેદનને પગલે એવું બહાર આવી રહ્યું છે આગામી સપ્તાહમાં ચૂંટણી જાહેર થાય એવી શક્યતાઓ વધી છે. ચૂંટણી પંચે આજે મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી નિયત સમયે જ થશે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિની ચૂંટણી પર કોઇ અસર નહીં થાય અને ચૂંટણી સમય મર્યાદામાં જ પૂર્ણ કરાશે. સાથોસાથ ગત વખતે નવ તબક્કામાં યોજાયેલી ચૂંટણી આ વખતે છ તબક્કામાં યોજાય એવી શક્યતાઓ છે. આગામી સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી તારીખોની વિધિવત જાહેરાત કરાઇ શકે છે.
આગળની પોસ્ટ