ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન સોદાબાજી કરી રહ્યુ છે.ભારત માટે સારી વાત એ છે કે કમસે કમ પાકિસ્તાને ગઈકાલે જ માની લીધુ હતુ કે ભારતીય પાયલોટ તેમની કસ્ટડીમાં છે.
બાકી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ વખતે પાકિસ્તાનના હાથે કેદ પકડાયેલા ભારતીય વાયુસેનાના હવાબાજો પાકિસ્તાનના યુધ્ધ કેદી છે તે માનવા માટે પાક આજે પણ તૈયાર નથી.
૧૯૭૧ના યુધ્ધ વખતે ભારતના ૨૪ પાયલોટ પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા.તેની સાથે સાથે ૧૭ આર્મી ઓફિસર, ૧૨ જવાનનો, એક નેવી ઓફિસરનો પણ સમાવેશ થતો હતો.આમ કુલ ૫૪ ભારતીયોને પાકિસ્તાને બંદી બનાવ્યા હતા.
જોકે આજ સુધી પાકિસ્તાને આ ભારતીયો પોતાના કબ્જામાં હોવાનુ સ્વીકાર્યુ નથી.યુધ્ધ થયા બાદ ભારત સરકાર અને યુધ્ધ કેદીઓના પરિવારજનો વારંવાર પાકિસ્તાનને પૂરાવા આપતા રહ્યા છે પણ નફ્ફટાઈપૂર્વક દર વખતે પાક સરકારે આ જવાનો અને અધિકારીઓ પોતાની જેલમાં બંધ હોવાની ના જ પાડી છે.
આ યુધ્ધકેદીઓની શું સ્થિતિ છે,તેઓ જીવે છે કે નહી તેની કોઈ જાણકારી નથી.યુધ્ધ પછી ભારતમાં જેટલી સરકારો આવી તે તેમને ભુલાવી ચુકી છે ત્યારે તેમના પરિવારજનો આજે કહી રહ્યા છે કે ફરી એક વખત ૭૧ના યુધ્ધ કેદીઓનો મુદ્દો ઉઠાવવાનો અત્યારે યોગ્ય સમય છે.સરકારે ઈન્ટરનેશનલ કોર્ટમાં પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ.