પાકિસ્તાને ગુરૂવારે ત્યાંથી ચાલનારી સમજૌતા એક્સપ્રેસ રદ કરી નાખી છે, જેના કારણે અટારી જાનારા યાત્રીઓ ફસાયા છે. ડૉન ન્યૂઝના અહેવાલો મુજબ, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધતા આ પગલું ભરવામાં આવ્યું છે.
ભારતથી નીકળતી સમજૌતા એક્સપ્રેસ બુધવારે નવી દિલ્હીથી પોતાના નિર્ધારીત સમય પર નીકળી હતી જેને અટારી બોર્ડર પર અટકાવી દેવામાં આવી હતી. કારણ કે પાકિસ્તાને આ ટ્રેન રદ કરી નાખી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ, સમજૌતા એક્સપ્રેસમાં કુલ ૧૬ યાત્રીઓ સવાર હતા અને તમામ લાહોરથી બેસ્યા હતા. આ યાત્રીઓ લાહોરમાં ફસાયેલા છે.
પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના પગલે પાકિસ્તાનમાં તમામ હવાઈ સેવા બંધ કરવામાં આવી છે, જ્યારે લાહોરમાં સમજૌતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ભારત તરફથી ગઈકાલે સમજૌતા એક્સપ્રેસ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું.
જોકે, પાકિસ્તાને ટ્રેન રદ કરતા અનેક મુસાફરો અટવાયા છે.
આ બધાની વચ્ચે ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન તૈયાર થઈ ગયું છે. જોકે, આ માટે પાકિસ્તાને ભારત સામે એક શરત રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ પાકિસ્તાની મીડિયાને નિવેદન આપતા કહ્યું કે હાલત સામાન્ય થશે તો તેઓ ભારતીય પાયલટને મુક્ત કરવા અંગે વિચારી શકે છે. શાહ મેહમૂદ કુરૈશીનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાને પોતાના સરહદી વિસ્તારમાં બે ભારતીય પ્લેનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે.