ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે. ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમ એ દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. રમઝાન માસમાં જકાત-ખૈરાત આપવામાં કોઇ પણ સાચો મુસલમાન અચકાતો નથી. કારણ કે જકાતમાં મનચોરી એ પાપ છે.
ઇસ્લામમાં રોજા દરેક મુસ્લિમ માટે ફરજીયાત કરવામાં આવ્યા છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,“તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે. જેવી રીતે તમારી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા”
રોઝા કે ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં શરિયતમાં જણાવવામાં આવ્યું છે,‘સવારે સૂરજ ઊગે એ પહેલાંથી અને સૂરજ આથમેં ત્યાં સુધી ખાવાની, પીવાની અને સ્ત્રી સહવાસની પાબંદી સ્વીકારી, ખુદાની ઇબાદતમાં મશગૂલ રહેવું એટલે રોઝો.’
ખુદાએ રોઝા ફર્ઝ કર્યા હોયને રોઝા અંગે અનેક હિદાયાતો કુરાને શરીફ અને હદીસોમાં આપવામાં આવેલા છે. રોઝાની મહત્તા વ્યકત કરતા હઝરત અબુ હરૈરએ કહ્યું છે,“રોઝા દોઝક (નર્ક)થી બચવાની ઢાલ છે”
“રોઝદાર અપશબ્દ ન બોલે, સંભોગ ન કરે જહાલાતની વાતો ન કરે. જો કોઈ માણસ તેને સાથે લડવા આવે અને અપશબ્દ કહે તો તેને સબ્રથી કહીદે કે મારે રોઝો છે”
હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,“જો કોઈ માનવીની સ્ત્રી, બાળકો, જાનમાલ, ઔલાદ અને પાડોશીના હક્કો અદા કરવામાં કઈ ગફલત(ભૂલ) થી જાય તો તે ગફલતના બદલામાં તે રોઝા, નમાઝ અને ખૈરાત (દાન) અદા કરશે તો તેની ગફલત (ભૂલ) ખુદા માફ કરી દેશે”
“જન્નતમાં એક દરવાજો છે જેને ‘રય્યન’ કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે દરેક રોઝદાર જન્નતમાં દાખલ થશે. એ સિવાય કોઈ એ દરવાજામાંથી દાખલ થઇ શકશે નહિ” “રમઝાન આવે છે ત્યારે દોઝકના દરવાજા બંધ થઇ જાય છે, અને જન્નતના દરવાજા ખુલી જાય છે”
“જે માનવી ઈમાન સાથે સવાબની અપેક્ષાએ લયલતુલ કદ્રની રાતે જાગતો રહેશે, તેના આગલા ગુનાહ માફ થઇ જશે જે માનવીએ ઈમાન સાથે રમઝાનના રોઝા રાખશે તેના પણ આગલા ગુનાહો માફ થઇ જશે” “જે માનવી રોઝામાં જુઠ્ઠું બોલવાનું અને તેના પર અમલ કરવાનું ન છોડે, તેનું ખાવાપીવાનું છોડાવાનું ખુદાને ત્યાં કોઈ જ મહત્વ નથી” કુરાને શરીફમાં ફરમાવ્યું છે,“માનવીનું દરેક કાર્ય પોતના માટે છે. અલબત્ત તેના રોઝા મારા (ખુદા) માટે છે. હું પોતે જ તેનો બદલો આપીશ”
હઝરત અનસ કહે છે,“રમઝાન માસમાં મહંમદ સાહેબે પત્નીઓને ન મળવાની કસમ ખાધી હતી. આપ ૨૯ દિવસ એક જ ઓરડામાં રહ્યા. ૨૯ દિવસ પછી આપ તે ઓરડામાથી બહાર આવ્યા. ત્યારે કોઇ કે પૂછ્યું, ‘આપે તો રમઝાન મહિના દરમિયાન પત્નીઓથી દૂર રહેવાની કસમ ખાધી છે ને” મહંમદ સાહેબે ફરમાવ્યું.’ મહિનો ૨૯ દિવસનો પણ હોય છે”
હઝરત હસન બસરી કહે છે,“રોઝદાર માટે કુલ્લી કરવી અને પાણીથી ઠંડક મેળવવી વાંધાજનક નથી”
મહમદ સાહેબે ફરમાવ્યું છે,“જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે અથવા પી લે તો રોઝો ન તોડે બલકે તે રોઝો પુરો કરે”
હઝરત અબુ હરૈરએ કહ્યું છે,“જો રોઝદાર ઉલટી કરે તો રોઝો તૂટતો નથી. કારણ કે અંદરથી નકામો ખોરાક બહાર આવે છે, પેટમાં દાખલ થતો નથી”ઇસ્લામમાં રમઝાન માસમાં રોઝા રાખવાનું અનેક ગણું આધ્યાત્મિક મહત્વ છે. કારણે કે રમઝાન માસમાં જ કુરાને શરીફનું અવતરણ થયું છે. આ ઉપરાંત ખુદાની ઉતરેલી અન્ય તમામ કીતાબોનું અવતરણ પણ રમઝાનમાં જ થયું છે. હઝરત ઇબ્રાહિમ(અ.સ.)અને અન્ય પયગમ્બરોને આ જ માસની પહેલી થી ત્રીજી તારીખ સુધીમાં જ સહીફેનું અવતરણ થયું હતું. સહીફે અન્ય પયગમ્બરો પર ઉતરેલ ખુદાના આદેશનો સંગ્રહ છે. હઝરત દાઉદ(અ.સ.)ને આ જ માસની ૧૨ થી૧૮ તારીખ દરમિયાન “જુબુર”નું અવતરણ થયું હતું. હઝરત મુસા(અ.સ.)ને આ જ માસની ૬ઠ્ઠી તારીખે “તૌરાત”નું અવતરણ થવો આરંભ થયો હતો. હઝરત ઈસા (અ.સ.)ને આ જ માસની ૧૨ થી ૧૩ તારીખ દરમિયાન “ઈંજીલ”નું અવતરણ થયું હતું. એ દ્રષ્ટિએ દરેક મુસ્લિમ માટે રમઝાન માસ અંત્યંત પવિત્ર માસ છે. આ જ માસમાં ખુદા પોતાના કરોડો બંદાઓને બેહિસાબ સવાબ-પુણ્યની નવાજે છે. આ જ માસમાં કરેલી ઈબાદત અને જકાત-ખેરાતનો અનેક ગણો બદલો ખુદા તેના બંદાને આપે છે. પણ તે માટે ખુદાની બે શરતોનું પાલન દરેક મુસ્લિમે કરવું પડે છે. એક, સમગ્ર માસ દરમિયાન દરેક મુસ્લિમ ખુદાની ઈબાદતમા લીન રહે.અને બી બે, બુરા મત દેખો, બુરા મત સૂનો. બુરા મત કહો અને બૂરા મત સોચોના મૂલ્યોને ઈમાનદારીથી વળગી રહે. રોઝા અર્થાત ઉપવાસ- સોમમા આ બાબતોનું પાલન અનિવાર્ય છે. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું એટલે રોઝો નહિ. એમ તો ગરીબ માનવી ઘણીવાર ભૂખ્યા-તરસ્યા રહે છે. પણ તેમને રોઝનો સવાબ (પુણ્ય) પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમની ભૂખ્યા- તરસ્યા રહેવાની એ ક્રિયામા ઈબાદત નથી, મજબૂરી છે. રમઝાન શબ્દમાં પણ ગુનાહોને ઈબાદત અને સદ્કાર્યો દ્વારા બાળવાનો ભાવ રહેલો છે. “રમઝ” અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે બાળવું.ઇસ્લામના મહાન ગ્રન્થ કુરાન-એ-શરીફમાં કહ્યું છે,“ “હે મુસ્લિમો, તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે””
અર્થાત નાના મોટા દરેક તંદુરસ્ત મુસ્લિમ માટે રોઝા ફરજીયાત છે. જો કે ઇસ્લામ માનવ ધર્મ છે. જેના નિયમોમાં કયાંય જડતા કે અમાનવીયતા નથી. એટલે જ કુરાન-એ-શરીફમા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે,
“ “રમઝાન માસમાં કોઈ બીમાર હોઈ કે મુસાફરીમાં હોઈ તો તે અન્ય દિવસોમાં જયારે તે તંદુરસ્ત હોઈ ત્યારે રોઝા રાખી પોતાના રોઝા પૂર્ણ કરી શકે છે””
એટલે કે ઇસ્લામે કોઈ મુસ્લિમને રોઝાથી મુક્તિ નથી આપી.રોઝા, ઉપવાસ કે સોમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. ગાંધીજીએ પણ ઇસ્લામના આ સિધ્ધાંત સ્વીકાર કર્યો છે. જયારે ગાંધીજીને કોઈ ભૂલ કે પાપ કર્યાનો અહેસાસ થતો ત્યારે તે પ્રાયશ્ચિત માટે ઉપવાસ કરતા. પણ આપણે તો ત્રણસો પાંસઠ દિવસોના ગુનાહોને ધોવા-પ્રાયશ્ચિત કરવા ખુદાની ઇબાદત સાથે માત્ર ત્રીસ દિવસના રોઝા કે ઉપવાસ કરવામાં પણ આળસ કરીએ છીએ.અને એટલે જ આપણા રોઝા ખુદા કાબુલ કરે છે કે નહી તેની આપણને ખુદને ખબર નથી હોતી. અને એટલે જ રમઝાન માસના આરંભે દરેક મુસ્લિમે ત્રીસ દિવસ ઈબાદત અને રોઝાના સમન્વય સાથે સનિષ્ઠ રીતે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જકાત-ખેરાત (દાન) કરી વધારેમાં વધારે સવાબ પુણ્ય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
રમઝાન માસની પવિત્રતાને કારણે જ મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. તેનું પાલન કરવામાં સાચો મુસલમાન કયારેય અચકાતો નથી. જકાતમાં મનચોરી એ ગુનાહ છે.
રોઝાની ક્રિયા પણ પવિત્રતાનું પતિક છે. રોઝો રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોઝાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જ જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં.
નમાજ દ્વારા સતત ખુદાની ઇબાદતમાં રત રહેવું. પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોઝો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોઝોએ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોઝો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોઝાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે. તેને ઇફતાર કહે છે. રોઝો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ઇસ્લામે ભાર મુક્યો છે.
ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોઝો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.જાણીતા લેખક ગુણવંત શાહે રોઝા અંગે કહ્યું છે કે “ “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોઝો”
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ