સોમવારે રાત્રે રાજસ્થાનના પ્રતાપગઢ-જયપુર હાઇવે ખાતે દુલ્હનના વરઘોડામાં નાચી રહેલી લોકો પર એક કાળમુખો ટ્રક ફરી વળ્યો હતો. ટ્રક નીચે કચડાઈ જવાને કારણે ૧૫ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૮ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોમાં દુલ્હનનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે છોટી સદરી વિસ્તારમાં હાઇવેની આસપાસ રહેતા લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતા. આ સમયે ટ્રકને ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
ટ્રકે કચડી નાખ્યા બાદ નવ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે ૬ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. અકસ્માતમાં દુલ્હન સહિત ૧૫થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત બાદ ઘાયલોને છોટી સદરી ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા ૧૫ લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નવ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકના ડ્રાઇવરને રસ્તા પર નાચી રહેલા લોકો ધ્યાનમાં આવ્યા ન હતા. બનાવ બાદ ડેડબોડીને શબઘરોમાં રાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ તમામ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.