પાકિસ્તાન પ્રેરિત પુલવામા આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વિરુદ્ધ રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પુલવામા હુમલાનો વિરોધ પાકિસ્તાનને બધા દેશોથી અલગ કરી રહ્યો છે. ભારત આ સાથે તેની આર્થિક વ્યવસ્થા પર પ્રહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને પુલવામા હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી ભારતે પાકિસ્તાનના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે. આ સિવાય પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ડ્યૂટી ૨૦૦ ટકા વધારી દીધી છે. હવે ભારત પાકિસ્તાનને ઇકોનોમી સ્તરે દુનિયામાં બ્લેકલિસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યું છે. વિશ્વસ્તરે આતંકી ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગ વિરુદ્ધ કામ કરતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સને ભારત ડોઝિયર સોંપશે તેની સાથે-સાથે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરશે. આ પહેલા ગત વર્ષે જુલાઇમાં એફએટીએપ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખતા ચેતવણી આપી હતી કે, તે પોતાનો વર્તૂંણક નહી બદલે તો તેને બ્લેકલિસ્ટમાં નાંખવામાં આવશે. સુરક્ષા દળો અત્યાર સુધી મેળવેલ પૂરાવાને આધારે ડોઝિયર તૈયાર કરવામાં લાગી ગયા છે. ભારત તરફથી એફએટીએફને જણાવવામાં આવશે કે, કેવી રીતે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠને પુલવામામાં આત્મઘાતી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું.એફએટીએફ દ્વારા બ્લેકલિસ્ટ કરવાનો મતલબ પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક, આઇએમએફ, એડીબી, યૂરોપિયન યૂનિયન જેવી સંસ્થાઓ પાસેથી લોન મળતી બંધ થશે. આ સિવાય મૂડીઝ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર અને ફિચ જેવી એજન્સીઓ તેના રેટિંગમાં ઘટાડો કરી શકે છે.