ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશને ડાઉન ટ્રેક ઉપર એક મહિલાએ પોતાના બે બાળકો સાથે અચાનક જ પડતું મુકી ફાની દુનિયાને અલવિદા કહેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. ટ્રેન નીચે કપાઇ જવાથી માતા સહિત બે બાળકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ તેમના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ મહિલાએ પોતાના બે બાળકો સાથે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું રહસ્ય હજુ અકબંધ છે. જેને પગલે રેલવે પોલીસે આત્મહત્યા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને માતા સહિત બે બાળકોના મૃતદેહોને પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મુળ રહે. બુધવલ, તા. મોરૂ, જિ.ચિત્રકુટ (યુ.પી.) અને કામધંધા અર્થે હાલ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથક પાસે આવેલ ગોકુલધામ સોસાયટીમાં મકાન નંબર- ૧૦૫માં પરિવાર સાથે રહેતા શીવસીંગ અવધ બિહારી યાદવના ૨૮ વર્ષીય પત્ની સુરીદેવી યાદવ તથા પાંચ વર્ષીય પુત્ર કિષ્ણા અને ૩ વર્ષીય પુત્રી મનવી શીવસીંગ યાદવ સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનની દક્ષીણે ડાઉન લાઇન ઉપર ટ્રેન નં. ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. માતા અને બંને સંતાનોના કરૂણ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ હતી.આ ઘટનાની જાણ રેલ્વે સુપ્રીટેન્ડન્ટે રેલવે પોલીસને કરતા ભરૂચ રેલ્વે પોલીસ સ્ટાફના કાફલા સાથે તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને જરૂરી ગુનો નોંધી વધુ તપુાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકોની લાશને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી માતાએ કયા કારણસર સંતાનો સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી તેને લઇ રહસ્ય હજુ અકંબધ છે.