Aapnu Gujarat
ગુજરાત

કેવડિયા ખાતે રાજ્ય ચૂંટણી પંચના વડાઓની ર૮મી અખિલ ભારતીય પરિષદનો ઓ.પી. કોહલીએ કરાવ્યો પ્રારંભ

   રાજ્યપાલ શ્રીમાન ઓ.પી.કોહલીજીએ કેવડિયામાં વિશ્વની સહુથી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંન્નિધ્યાં રમણીય ટેન્ટ સિટી ખાતે રાજ્ય ચૂંટણી પંચના યજમાનપદે યોજાયેલી દેશના વિવિધ રાજ્યો અને સંધપ્રદેશોના રાજ્ય ચૂંટણી પંચોના કમિશનરશ્રીઓની ર૮ મી અખિલ ભારતીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. લોકશાહીનું આમૂલાગ્ર મજબૂતીકરણ અને મતદાર જાગૃતિ વિષયક પરિષદમાં દેશના ૨૨ રાજ્યોના રાજ્ય ચૂંટણી પંચના કમિશનરશ્રીઓ અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલશ્રી સાથે પરિષદના દીપ પ્રાગટ્યમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંધ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા અને પરિષદ આયોજન સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.વરેશ સિંહા તથા પરિષદ આયોજન સમિતિના સચિવ અને દિલ્હીના ચૂંટણી પંચના વડા શ્રી એસ.કે.શ્રીવાસ્તવ તથા મહાનુભાવો જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા સ્વેપના દસ્તાવેજનું અને સને ર૦૧૮ના આંકડાકિય અહેવાલનું પ્રસંગે વિમોચન પણ કર્યું હતું.

વિશાળ ભારત દેશમાં લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને ૩૦ લાખ જેટલા તેમાં નિર્વાચીત પ્રતિનિધિઓ છે તેનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી ર૮મી પરિષદનું વિચાર મંથન દેશમાં ચૂનાવી પ્રક્રિયાને વધુ સમાવેશક બનાવવામાં ઉપયોગી નિવડશે અને તેના પરિણામે મહિલાઓ, યુવા સમુદાય, દિવ્યાંગજનો અને સીમાંત સમુદાયો સહિત તમામ જાતિ અને વર્ગોને સમાન પહોંચની વધુ ખાત્રી મળશે. તેમણે પરિષદ યોજવા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને વિશેષ અભિનંદન આપ્યા હતા.

        રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશમાં છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અને તેના પ્રતિનિધિઓ પસંદ કરવાની નિર્વાચન પ્રક્રિયાનું નોંધપાત્ર મજબૂતીકરણ થયું છે. આ સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિઓના નિર્વાચન માટે આરક્ષણની જોગવાઇ એક અગત્યનું સીમાચિન્હ છે. જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે અને શાસનમાં તેમની સહભાગીદારી સુનિヘતિ થઇ છે.

        તેમણે જણાવ્યું કે, મતદાન યંત્રોનો ઉપયોગ, નોટાની જોગવાઇ, ચૂંટણીઓના પ્રબંધનની પ્રક્રિયા અને વ્યવસ્થાની વધુ સંવર્ધિત પદ્ધતિ, વધુ પારદર્શક ચૂંટણી પ્રક્રિયાઓની દિશામાં અનેક નવી પહેલો વિવિધ રાજ્યોના ચૂંટણી પંચોએ કરી છે, જે સરાહનિય છે.

         સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નિર્વાચન પ્રક્રિયામાં મતદારોની સહભાગીદારી વધારવા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની અનેકવિધ પહેલોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સને ર૦૧પમાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ (સ્વેપ-રાજ્ય મતદાર જાગૃતિ કાર્યક્રમ) આ દિશાની એક નિર્ણાયક પહેલ છે. મને વિશ્વાસ છે કે અન્ય રાજ્યોના ચૂંટણી પંચોએ પણ લોકશાહીને અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને તૃણમૂલ સ્તરેથી મજબૂત કરતા આવી એકથી વધુ પહેલો અમલમાં મૂકી છે.

       રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ તૃણમૂલ સ્તરેથી લોકશાહી સંસ્થાઓના વિકાસની અને ગ્રામ સ્વરાજની ભલામણ કરી હતી. સ્વતંત્રતા પછી ભારત, લોકોને મતાધિકાર દ્વારા પોતાની પસંદગીની સરકાર બનાવવાની વ્યવસ્થા ધરાવતો વિશ્વનો સહુથી મોટો લોકશાહી દેશ બન્યો. તેના ૪૨ વર્ષ પછી બંધારણમાં ૭૩ અને ૭૪માં ઐતિહાસિક અને ક્રાંતિકારી સુધારા થયા અને તેના પગલે પંચાયત જેવા છેક પાયાના સ્તરે લોકો દ્વારા નિર્વાચીત પ્રતિનિધિઓ દ્વારા વહિવટની ખાત્રી મળી. હજારો વર્ષોથી આપણા ઇતિહાસ સાથે સ્થાનિક શાસનની વ્યવસ્થા વણાયેલી હતી. આ બંધારણીય સુધારાથી એ ભાવનાનો વૈધાનિક વ્યવસ્થા તરીકે સ્વીકાર થયો તેનો મને આનંદ છે.

         તેમણે આ પરિષદ ભારત માટે એક આઇકોનિક પ્રોજેક્ટ બની ગયેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંન્નિધ્યમાં યોજાઇ તેનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, તાજેતરમાં જ વિરાટ સરદારની વિરાટ પ્રતિમા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને લોકાર્પિત કરી હતી. ૫૬૫ દેશી રજવાડાઓના વિલિનિકરણ દ્વારા ભારતને એક સૂત્રે બાંધનારા મહામાનવને તેમણે આદરાંજલિ આપી હતી.

          સહુને આવકારતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડાશ્રી ડૉ.વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, આ પરિષદનું દેશના વિવિધ રાજ્યોમાં નિયમિત આયોજન કરવામાં આવે છે અને અનુભવોના આદાનપ્રદાન, માહિતીના વિનિયોગ, અદાલતી કેસો અને તેમના નિર્ણયો, તેમજ રાજ્ય ચૂંટણી પંચો સમક્ષના પ્રશ્નો અને પડકારોની ચર્ચાનું મંચ આ પરિષદો બની છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિષદમાં તમામ રાજ્યોના ચૂંટણી પંચોને એક છત્ર હેઠળ આણે તેવા મોડલ લીગલ ફ્રેમવર્કની રૂપરેખાની વિચારણા કરવામાં આવશે. પરિષદમાં ઇ.વી.એમ. ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લી. (બેલ) અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ઇસીઆઇએલ) કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂ઼ંટણીઓ માટે ઉપયોગમાં લેવાતા ઇ.વી.એમ.ની ડીઝાઇન, ઉત્પાદન, તેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યુવાઓ, મહિલાઓ અને એકંદર મતદાન વધે એ માટેના ઉપાયોનો સહિયારો વિચારવિમર્શ કરવામાં આવશે.

         રાજ્યના મુખ્ય સચિવશ્રી ડૉ.જે.એન. સિંધે જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીની પ્રતિતિ કરાવે છે. હાલમાં દરરોજ લગભગ દસ હજાર જેટલા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે અને નાઇટ સફારી જેવા વિવિધ આકર્ષણોનો તેમા ઉમેરો કરવાનું આયોજન છે. આ સ્થળ દેશની એકતાનું પ્રતિક છે, કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી લોહા અને માટી અભિયાન હેઠળ સમગ્ર દેશની માટી અને ખેતઓજારો અત્રે આણવામાં આવ્યા હતા અને એમાંથી વૉલ ઑફ યુનિટી જેવા પ્રકલ્પોનું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે એટલે ગુજરાત માટે સરદાર સરોવર બંધની ખૂબ અગત્યતા છે. સરદાર સાહેબને આદર આપવા માટે આનાથી બહેતર કોઇ સ્મારક હોઇ શકે નહી. તેમણે મહેમાનોને ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યુ હતું અને તેમના રાજ્યોમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આકર્ષણોનો પ્રચાર કરવા અનુરોધ કર્યો હતો.

           આ પ્રસંગે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારી અને ભારત સરકારના માનવ સંપદા અને તાલીમ વિભાગના અધિક સચિવ શ્રી કે. શ્રીનિવાસ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ શ્રી એમ.વી. જોશી તેમજ વિવિધ રાજ્યોના અને સંધપ્રદેશોના ચૂંટણી પંચના વડાઓ, અધિકારીઓ, ભેલ, ઇસીઆઇએલ, સીડેક, એનઆઇસીના પ્રતિનિધિઓ, રાજપીપળા જિલ્લા કલેક્ટર શ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલિયમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા, સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારીઓ, સ્થાનિક ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

         ઉદ્‍ધાટન સત્રના અંતે નવી દિલ્હી અને ચંદીગઢ રાજ્ય ચૂંટણ પંચના કમિશનર અને પરિષદના કન્વિનર શ્રી એસ.કે. શ્રીવાસ્તવે આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

રાજ શેખાવતના જામીન મંજૂર

editor

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે

editor

રાજ્યભરના એટીએમમાં રોકડનો કકળાટ યથાવત્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1