શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી પર ટોણો મારતા કહ્યું કે, જે પાર્ટી રાષ્ટ્રવાદની વાતો કરે છે તે પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં એવી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ હતું કે, જેણે અફઝલ ગુરુને ટેકો આપ્યો હતો. અફઝલ ગુરુએ દેશની સંસદ પર હુમલો કર્યો હતો અને બાદમાં તેને ફાંસી આપવામાં આવી હતી. શિવસેનાનાં નેતા સંજય રાઉતે આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુનાં એક દિવસનાં પ્રતિક ઉપવાસમાં હાજરી આપી હતી. નાયડુ દિલ્હીમાં એક દિવસનાં ઉપવાસ પર બેઠા હતા અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગણી કરી હતી.
નાયડુનાં આ વિરોધ પ્રદર્શનમાં અનેક વિરોધ પક્ષોએ હાજરી આપી હતી અને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. શિવસેનાનાં નેતાએ પણ તેમાં હાજરી આપી હતી. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં લખ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનની સરકારમાં ભાજપે પીડીપી સાથે સરકાર રચી હતી. આ જ પીડીપીએ આતંકવાદી અફઝલ ગુરુ ને ટેકો આપ્યો હતો. ચાર વર્ષ સત્તામાં બેઠા પછી બંને પક્ષો અલગ પડ્યા.
શિવ સેના તેની હિંદુત્વ વિચારધારાને વળગી રહી છે. અમે અસાઉદ્દીન ઔવેસીનાં વિરોધી છીએ અને પીડીપીનાં પણ વિરોધી છીએ. ભાજપ માત્ર રાષ્ટ્રવાદની વાતો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીડીપીનાં નેતાઓ સાથે સ્ટેજ શેર કરતા હતા. શિવસેનાએ સામનામાં ચાબખા માર્યા હતા. શિવસેનાએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને જે વચન આપ્યુ હતુ તે પુરુ કર્યુ નથી.