ચાંદખેડામાં દિવાલ ચણવાની બાબતમાં રબારીઓ અને દલિતો વચ્ચે બે દિવસ પહેલાં થયેલી જૂથ અથડામણના કેસમાં દલિત પરિવારના લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલાના વિરોધમાં ગઇકાલે દલિત સમાજ તરફથી ચાંદખેડા બંધનું એલાન અપાયું હતું અને આરોપીઓને પકડવાની ઉગ્ર માંગ થઇ હતી. પોલીસે પણ આ પ્રકરણમાં આરોપીઓની ધરપકડની હૈયાધારણ આપવામાં આવી હતી. જેને પગલે પોલીસે આજે આ સમગ્ર મામલમાં ભારે સફળતા મેળવી દલિતો પર હુમલાના કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેઓની વિરૂધ્ધ ઇપીકો કલમ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની ગંભીરતા અને એટ્રોસીટી એકટની જોગવાઇને ધ્યાનમાં લઇ આ કેસની તપાસ એસસી એસટી સેલને સોંપાઇ છે. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, બે દિવસ પહેલાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં કલ્પનાનગર ખાતે દિવાલ ચણવાની બાબતમાં પાડોશીઓ વચ્ચે તકરાર થઇ હતી અને આખોય મામલો વણસ્યો હતો. છેવટે આખીય વાત દલિત અને રબારી સમાજ વચ્ચેની તકરારમાં પરિણમી હતી અને બંને પક્ષે જૂથ અથડામણ થઇ હતી. જેમાં દલિત સમાજના લોકોને ઇજા પહોંચી હતી. બીજીબાજુ, માર મારનાર ટોળાના માણસો ફરાર થઇ ગયા હતા. રબારી સમાજના માણસો દ્વારા દલિત પરિવારો પર હુમલાના વિરોધમાં ગઇકાલે ચાંદખેડા બંધનું એલાન અપાયું હતું. પોલીસ ફરિયાદ છતાં આરોપીઓની ધરપકડ નહી થતાં દલિત સમાજના લોકોએ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હુમલો કરનાર આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા છે, તેથી પોલીસે તપાસનો દોર નક્કર બનાવી આખરે મુખ્ય સૂત્રધાર આરોપી કરમસિંહ દેસાઇ, વિક્રમ દેસાઇ, નાગજી રબારી સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મોડી સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ દરી હતી.
આગળની પોસ્ટ