કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા કઠોર નિર્ણય સામેના વિરોધમાં કેમિસ્ટ યુનિયન દ્વારા આવતીકાલે હડતાળની હાકલ કરવામાં આવી છે. એક દિવસની હડતાળના કારણે દવાની દુકાનો બંધ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેથી હડતાળની માફી અસર થઈ શકે છે. તેમના નફાના માર્જિન ઉપર લાદવામાં આવેલી મર્યાદાને હળવી કરવાની સાથે સાથે દવાઓના વેચાણ અને સ્ટોરેજ માટે નક્કી કરવામાં આવેલા ધારા ધોરણને હળવા કરવાની કેમિસ્ટો દ્વારા માંગ કરવામાં આવી છે. દેશભરમાં મોટા મેડિકલ સ્ટોર આવતીકાલે બંધ રહેશે. જેથી લોકોને ભારે મુશ્કેલી નડી શકે છે. દેશભરમાં આશરે નવ લાખ નોંધાયેલા કેમિસ્ટોનું પ્રતિનિધિત્વ કરનાર ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા આ હડતાળની હાકલ કરવામાં આવી છે. તેમની ચિંતા તરફ ધ્યાન આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેવો આક્ષેપ કરીને આ હડતાળ પાડવામાં આવી રહી છે. એઆઈઓસીડીના અધિકારીઓના કહેવા મુજબ અનેક પ્રસંગે અધિકારીઓ સમક્ષ તેમની ચિંતાને રજુ કરવામાં આવી છે પરંતુ ધ્યાન આપવામાં આવ્યું નથી જેના લીધે આખરે હડતાળ પાડવાનો નિર્ણય કરાયો છે. તેમના દ્વારા એડવાન્સમાં નોટિસ આરોગ્ય મંત્રાલય, ડ્રગ્સ કંટ્રોલર ડિપાર્ટમેન્ટ અને વડાપ્રધાનની ઓફિસને પણ આપવામાં આવી છે. બીજી બાજુ આ સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા પારદર્શકતા સાથે સંબંધિત નિયમો ખૂબ જ કઠોર બન્યા છે. સરકારી પોર્ટલ ઉપર વેચવામાં આવી રહેલી દવાઓને અપડેટ કરવાની માંગ કરીને સરકાર દ્વારા આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. વર્તમાન માળખાની સાથે આ બાબત શક્ય નથી તેમ પણ કેમિસ્ટોએ કહ્યું છે. તેમની એવી રજુઆત પણ છે કે નફામાં વર્તમાન માર્જિન વધારાના ખર્ચના પરિણામ સ્વરૂપે નહિવત સમાન છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા દવાના રિટેઈલરો માટેની માર્જિનની ટકાવારી ૧૬ ટકા છે. એક દિવસની હડતાળમાં ભાગ લેનાર રીટેઈલ ડિસ્ટ્રીબ્યુટર કેમિસ્ટ એસોસિએશને તેમના નફાના માર્જિનને વધારવાની તેમને મંજુરી આપવાની માંગ કરી છે. જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પણ માંગ કરાઈ છે. જંતર મંતર ઉપર ધરણા પણ કરાશે.