આગામી લોકસભાની ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નોર્થ ઇસ્ટ પ્રવાસ ઉપર આજે પહોંચ્યા હતા. આ સંબંધમાં તેઓ અરુણાચલ પ્રદેશ પહોંચ્યાં હતાં જ્યાં અનેક વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમોમાં જોડાયા હતા. મોદીએ ઇટાનગરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા મુકી હતી. આ પ્રસંગે જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, અરુણાચલમાં એક સાથે બે એરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યું છે. મોદીએ લોહિત જિલ્લામાં રેટ્રોફિટેડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યં હતું. સામાન્ય બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ખેડૂતો માટે સન્માનનિધિ યોજના જાહેર કરાઈ છે જેના ભાગરુપે નાના ખેડૂતો જેમની પાસે ૫ એકરથી ઓછી જમીન છે તેમને ૬૦૦૦ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. દર ત્રીજા મહિનામાં બે-બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે. નોર્થઇસ્ટનો ઝડપથી વિકાસ કરવામાં આવી રહ્યો છે. કનેક્ટીવીટીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ન્યુ ઇન્ડિયા એજ વખતે સંપૂર્ણરીતે સક્ષમ થશે જ્યારે પૂર્વીય ભારત, નોર્થઇસ્ટનો પણ વિકાસ થશે. મોદીએ પોતાની તમામ યોજનાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, સૌભાગ્ય યોજના હેઠળ દેશમાં ૨.૫ પરિવારોના ઘરમાં વિજળી પહોંચી ચુકી છે. અરુણાચલના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન મોદી આજે અરુણાચલ પ્રદેશમાં ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે પ્રોજેક્ટોના શિલાન્યાસ કરવામાં આવે છે તે પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ તેમના દ્વારા જ કરવામાં આવે છે. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર આ સરહદી રાજ્યમાં કનેક્ટીવીટીમાં સુધારો કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર અરુણાચલ પ્રદેશમાં હાઇવે, રેલવે, એરવે અને વિજળીની સ્થિતિમાં સુધારો કરવાની પ્રાથમિકતા આપી રહી છે. આ તમામ બાબતો તરફ અગાઉની સરકારો દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. બીજી બાજુ અરુણાચલ બાદ મોદી આસામ પહોંચ્યા હતા જ્યાં પણ તેઓએ કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા અને નાગરિકતા બિલની તરફેણ કરી હતી.
આસામમાં ચાંગસારના અમીન ગામમાં નાગરિકતા સુધારા બિલ અને એનઆરસીની જરૂરિયાતોને લઇને મોદીએ વાત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ભ્રમ ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. નાગરિકતા બિલ માત્ર આસામ અને નોર્થઇસ્ટ માટે નથી બલ્કે દેશના જુદા જુદા હિસ્સોમાં મા ભારતી ઉપર આસ્થા રાખનાર અને ભારત માતાની જય બોલનાર એવી સંતાનો માટે છે જેમને પોતાની જાન બચાવીને મા ભારતી પાસે આવવાની ફરજ પડી છે. મોદીએ કહ્યું હતું કે, આ લોકોને સંરક્ષણ આપવાની ભારતની ફરજ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ