શુક્રવારે ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાને એક મહિનો પૂર્ણ થઇ ગયો પરંતુ રાજ્યની તપાસ અજેન્સીના કાબેલ અને જાંબાઝ અધિકારીઓ હજુય હવામાં તલવાર વીંઝતા હોય તેવું લાગે છે ! ઉલ્લેખનીય છે કે , તપાસ માટે રચવામાં આવેલુ ખાસ તપાસ દળ શુટરો સુધી પહોંચી શકયુ નથી.
આ તપાસ દળના દાવા પ્રમાણે તેમણે ભાડુતી હત્યારાઓને પિછાણી જરૂર લીધા છે પરંતુ તેમને હજુ સુધી શોધી શકાયા નથી. એવું કેમ થઇ રહ્યું હશે તે તો અધિકારો અને તેમના આકાઓ જાણે પરંતુ રાજ્યની એટીએસની ટીમને જાણકારી મળી હતી કે ભાડુતી મારાઓ હત્યા બાદ જમ્મુમાં છુપાયા છે. જેના આધારે એટીએસની ટીમ જમ્મુ પહોંચી પણ તે પહેલા તેઓ નિકળી મહારાષ્ટ્ર તરફ રવાના થઈ ગયા હતા. આમ ફરી વખત પોલીસને નિષ્ફતા મળી છે.
બીજી તરફ જયંતિ ભાનુશાળીએ પોતાની સ્ત્રી મિત્રનો ઉપયોગ કરી અનેક અધિકારીઓની હનીટ્રેપ કરી તેમની પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.
તા. ૮ જાન્યુઆરીના રોજ જયંતિ ભાનુશાળીની હત્યા થયા બાદ ડીજીપી શીવાનંદ ઝા દ્વારા ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીઆઈજી ગૌતમ પરમારના વડપણ હેઠળ એક ખાસ તપાસ દળની રચના કરી હતી. જેમાં ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને પણ સામેલ કર્યા હતા. પોલીસને હાથ લાગેલા તથ્યો પ્રમાણે જયંતિની હત્યા માટે પુર્વ ધારાસભ્ય અને જયંતિના રાજકિય હરિફ છબીલ પટેલ અને જયંતિની સ્ત્રી મિત્ર મનિષા ગોસ્વામીએ સાથે મળી કાવતરુ રચી જયંતિ ભાનુશાળીનું કામ ભાડુતી મારાઓ મારફતે તમામ કર્યુ હતું. આ મામલે હમણાં સુધી છબીલ પટેલના બે વિશ્વાસુની ધરપકડ પણ થઈ ચુકી છે. જો કે ભાડુતી માણસો ઓળખાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિવસો સુધી પુનામાં ધામા નાખ્યા હતા પણ તેમનો પત્તો લાગ્યો ન્હોતો.