બંગાળના સીએમ મમતા બેનર્જીએ મોદીના ચાયવાલા નિવેદન પર હુમલો કરતા કહ્યું કે ચૂંટણી વખતે મોદીજી ચાયવાલા બની જાય છે અને બાદમાં મોદી રાફેલવાલા બને છે. લોકસભા ચૂંટણીને લઇને હવે રોજબરોજ અલગ અલગ રાજ્યમાં પીએમ મોદીની રેલીનો દોર જામતો જાય છે. સામે પક્ષે જે પણ રાજ્યમાં મોદી જાય છે ત્યાં જો વિપક્ષના ગઠબંધનના નેતાની સરકાર હોય તો મોદીની રેલીમાં જે તે રાજ્યસરકાર પર મોદીએ કરેલા હુમલાઓ અંગે તે રાજ્યના મુખ્યમંત્રીઓ મોદી સામે પ્રતિહુમલાઓ કરે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના જલપાઇગુડી રેલીમાં પીએમ મોદીની રેલી પૂરી થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી પર તીવ્ર વાકબાણો ચલાવ્યા હતા.
પીએમ મોદીએ શુક્રવારે જલપાઇગુડીમાં અનેક પરિયોજનાની આધારશિલા રાખી હતી અને બાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આ જગ્યાથી મારો જૂનો સંબધ છે. આપ લોકો ચાના બગીચામાં ચાને ઉગાડો છો જ્યારે હું ચા બનાવીને લોકોને પીવડાવું છું પરંતુ મને ખબર નથી કે દીદીને (મમતા બેનર્જીને) ચાયવાલાથી શા માટે આટલી ખીજ છે?
બંગાળના સીએમ મમતાએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે મોદીએ ચાના બગીચાના કર્મચારીઓના પેન્શનને લઇને જૂઠાણું ફેલાવ્યુ છે. એમણે અર્ધસત્ય કહ્યું છે. મને એ કહેતા શરમ આવે છે કે ચૂંટણી પહેલા મોદી ચાયવાલા બની જાય છે અને બાદમાં મોદી રાફેલવાલા બને છે.સીબીઆઇ વિવાદને લઇને પણ મમતા બેનર્જીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે કેમ બધા મોદીજીને બાય-બાય કહેવા લાગ્યા છે. મમતાએ જણાવ્યું કે મોદીજી ભારતને ઓળખતા નથી મોદીજી નોટબંધી અને ભ્રષ્ટાચારના માસ્ટર છે.મમતા બેનર્જીને જ્યારે પૂછવામાં આવ્યું કે આપે કહ્યું કે મોદી બાબૂ જૂઠ બોલી રહ્યા છે તો એના પર મમતાજીએ કહ્યું કે મેં મોદી બાબૂ કહ્યુ નથી, હું તેમને મેડ-ડી બાબૂ કહ્યા છે. અમે ગઠબંધન સાથે કામ કરી રહ્યા છીએ એટલે પીએમ મોદીજી ડરેલા છે. પણ હું ક્યારેય મોદીથી ડરતી નથી. હું મારી પદ્ધતિથી લડી છુ. મેં હંમેશા મા-માટી-માનૂષની ઇજ્જત કરી છે, પણ એ દુર્ભાગ્યની વાત છે કે મોદીજી રૂપિયાની તાકાતથી વડાપ્રધાન બની ગયા.