મહેસાણા તાલુકાના ગોઝારીયા ખાતે સ.ચુ અને શેઠ ડો.મા સાર્વજનિક હોસ્પિટલ, ગોઝારીયા ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ આરોગ્ય સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કીડની ડાયાલીસીસ સેન્ટર, નવીન એમ્બ્યુલન્સ, દાતાઓનો સન્માન સમારોહ સહિત ભુતપૂર્વ હોદ્દેદારનો અભિવાદન સમારોહ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યની સેવા લોકસુખાકારી માટેની સેવા છે. રાજયનો નાગરિક આરોગ્યપ્રદ રહે તે માટે સરકાર કટિબધ્ધ બની છે. રાજય સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવી ૧૨૦૦ પથારીની ભારતની સૌથી મોટી હોસ્પિટલનું લોકાર્પણ ટૂંક સમયમાં થનાર છે તેમ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત કીડની તેમજ કેન્સરની પણ હોસ્પિટલ શરૂ થનાર છે. રાજયના તમામ જિલ્લાઓમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાના ભાગ રૂપે મહેસાણામાં આ સેન્ટર ઉભુ કરાયું હતું. આજે ગોઝરીયા જેવા નાના ગામમાં આ પ્રકારની સેવા ઉપલબ્ધ થઈ છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સેવા સઘન બનાવવા માટે ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવે છે. હોસ્પિટલોને સાઘન લાવવા માટે ૫૦ ટકા રકમ રાજય સરકાર દ્વારા અપાય છે. લોકોમાં ખાસ પ્રચલિત બનેલી મા-વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા ૧,૫૦,૦૦૦ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલને ૧ કરોડ ૮૭ લાખનું અનુદાન આપવામાં આવે છે. સાસંદ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આરોગ્યની વિવિધ સુખાકારી સુવિધાઓ અપાઈ રહી છે. પ્રધાનમંત્રીનો નવા ઈન્ડિયાના વિચાર સાથે દેશના દરેક નાગરિકને સુખાકારી સેવાઓ મળી રહે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગોઝારીયા ખાતે નિર્માણ પામનાર નવી આયુર્વેદિક કોલેજના મોડેલનું વિમોચન કર્યું હતું. તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા દીકરીના જન્મ સમયે ૧૦૦૦ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી ૧૦૦ દિકરીઓને લાભ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આગામી સમયમાં વધુ સેવાઓ સુદ્દઢ કરાશે તે દિશામાં ટ્રસ્ટીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.