લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારમાં મહાગઠબંધન માટે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને વાતચીત ચાલી રહી છે. બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો છે. અને બંને પાર્ટી વચ્ચે બેઠકોની દાવેદારીને લઈને કશ્મકશ ચાલી રહી છે. લાલુ યાદવની આરજેડી કોંગ્રેસની વધુ બેઠકોની માગ પર ઝુકવા તૈયાર નથી.
જીતી શકે તેવા ઉમેદવારોનો હવાલો આપીને આરજેડી કોંગ્રેસ માટે ૧૦થી વધુ બેઠકો છોડવા રાજી નથી. આરજેડી કોંગ્રેસને ૮ બેઠકો આપીને મહાગઠબંધનને અંતિમ રૂપ આપવાના પ્રયાસમાં છે. તો એક સંભવિત ફોર્મ્યુલા અંતર્ગત વચ્ચેનો રસ્તો કાઢીને કોંગ્રેસને ૧૨ બેઠકો ફળવાય તેવી પણ ચર્ચા છે. તેજસ્વી યાદવ વધારે બેઠકો માટે દબાવ કરી રહ્યાં છે.
આરજેડી ૪૦માંથી ૨૨ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારમાં છે. ઉપેન્દ્ર કુશવાહની આરએલએસપીને ૩થી ૪ બેઠક અપી શકે છે. સૂત્રોની માહિતી મુજબ ત્રીજી ફેબ્રુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જન આકાંક્ષા રેલી બાદ મહાગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી શકે છે. પાર્ટી આ આયોજનને ઘણું મહત્વનું માની રહી છે કેમકે બિહારની રાજનીતિમાં સતત સુકાતી કોંગ્રેસે પાછલા કેટલાક વર્ષો દરમિયાન અહીં કોઈ મોટી રેલી કરી નથી.