અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તાપમાન વધતુ જોવા મળી રહ્યું છે.આ પરિસ્થિતિમાં શહેરના કાંકરીયા ઝૂને વાંદરા,કૂતરા, બિલાડી અને સાપ નીકળવા અંગેના સરેરાશ ૧૦ જેટલા કોલ મળી રહ્યા છે.ઝૂની ટીમ સ્થળ ઉપર જઈ જે તે પ્રાણીને લઈ ઝૂના પાંજરામાં પુરી દે છે.પરંતુ હદ તો ત્યારે થઈ જયારે મણીનગરના એક રહીશે ઝૂમાં ફોન કરી કહ્યુ કે અમારે ત્યાં બેબી ડાયનાસોર દેખાયો છે.જલ્દી આવો ટીમ જ્યારે ત્યાં પહોંચી તો એ જંગલી ગરોળી હતી.આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી ૪૨ કે ૪૩ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચવા પામ્યું છે.આ પરિસ્થિતિમાં શહેરમાં હવે લીલોતરીના અભાવે વાંદરા ઉપરાંત કૂતરા,બિલાડી સહીતના સર્પ પ્રકૃતિના પ્રાણીઓ ઠંડક શોધવા માટે તેમના માટે અનુકુળ જગ્યા શોધવાના પ્રયાસના ભાગરૂપે બહાર નીકળી આવતા હોય છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ગરમીની વચ્ચે વાંદરાઓનો ત્રાસ વધ્યો છે.જેની ફરીયાદો મળતા જ ઝૂની ટીમ જે તે સ્થળે પહોંચી જઈને વાંદરાઓને પકડીને ઝૂમાં પુરી દે છે.પરંતુ આ સાથે જ થોડા સમય પહેલા મણીનગર વિસ્તારમાંથી ઝૂ સત્તાવાળા ઉપર ફોન આવ્યો.અમારે ત્યાં બેબી ડાયનાસોર નીકળી આવ્યું છે જલ્દી આવો.ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર આર કે શાહૂના કહેવા અનુસાર,જયારે ટીમ સ્થળ ઉપર ગઈ ત્યારે જંગલી ગરોળી મળી આવી.
આ ગરોળી સામાન્ય રીતે ૬૧ થી ૭૫ સેન્ટિમીટર લંબાઈ ધરાવતી હોય છે.તેમના કહેવા મુજબ,ગરમીના કારણે ઝૂની ટીમને શહેરના વિવિધ વિસ્તારોમાંથી સરેરાશ ૧૦ જેટલા કોલ મળતા હોય છે.શહેરમાં ઘો મળી આવવાના બનાવોનું પણ પ્રમાણ વધવા પામ્યું છે.