પાકિસ્તાને ભારતને કરતારપુર કોરિડોરનો ડ્રાફ્ટ એગ્રીમેન્ટ સુપ્રત કર્યો હતો. પાકિસ્તાને ભારત તેના પ્રતિનિધિ મંડળને ઇસ્લામાબાદ મોકલીને તેમણે તૈયાર કરેલ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવા જણાવ્યું હતુ. નોંધનીય છે કે શીખોની આસ્થાના કેન્દ્રબિંદુ એવા પાકિસ્તાન સ્થિત કરતારપુર તરફ વિશેષ કોરિડોર બંને દેશો બનાવવાના છે. ભારતે તેના તરફથી બનનારા કોરિડોરનું ૨૬ નવેમ્બરે જ્યારે પાકિસ્તાને તેની તરફના કોરિડોરનું ૨૮ નવેમ્બરના રોજ શિલાન્યાસ કર્યો હતો. ભારતમાં ગરૂદાસપુરના ડૈરા બાબા નાનકથી પાકિસ્તાન સીમા સુધી કોરિડોર બનાવશે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુકતને ડ્રાફ્ટ સમજૂતીની સોંપણી કરવામાં આવી હતી. પ્રસ્તાવિત સમજૂતી મુજબ ભારતીય શીખ અનુયાયીઓ પાકિસ્તાનના નરોવાલ સ્થિત દરબારસાહિબ ગુરૂધ્વારાની યાત્રા કરી શકશે. આ ગુરૂદ્વાર ગુરદાસપુર બોર્ડરથી ૪ કિમીના અંતરે સ્થિત છે.
પાકિસ્તાને પોતાની તરફ કરતારપુર કોરિડોરના નિર્માણ કાર્યની દેખરેખ રાખવા મહાનિર્દેશક(દક્ષિણ એશિયા અને સાર્ક)ની નિમણૂક કરી છે. પાકિસ્તાને ભારતને પણ આ બાબતમાં એક વિશેષ અધિકારીની નિમણૂક કરવાની તેમજ પ્રતિનિધિ મંડળ મોકલીને ફાઇનલ વાત નક્કી કરવા વિનંતિ કરી છે.પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આ મુદ્દે ટિ્વટ કરીને પણ માહીતી આપી છે.