અમદાવાદ શહેરને પાણી પુરૂ પાડવા માટે થઈને મ્યુનિ.ના વોટર પ્રોજેકટ દ્વારા છેલ્લા બે વર્ષની અંદર કુલ મળીને ૩૬૯.૭૪ કરોડની રકમનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હજુ આજે પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીની વિકટ બનતી સમસ્યાની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ગંભીર નોંધ લેવાની ફરજ પડી હતી.આ અંગે મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકામાં કુલ ૧૦૪ નવી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે.શહેરના દક્ષિણઝોનમાં આવેલા લાંભા,બહેરામપુરા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં હજુ આજે પણ પાણીનું નેટવર્ક ન હોવાના કારણે તંત્રને રોજ ૩૦૦ થી ૩૨૫ ટેન્કરોની મદદથી પાણી પુરૂ પાડવુ પડી રહ્યું હોવાનો તંત્ર દ્વારા કમિટીમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.શહેરમાં કરોડો રૂપિયાના વોટર પ્રોજેકટના કામો થયા હોવા છતાં પાણીની બુમો કેમ પડી રહી છે તે અંગે સભ્યો દ્વારા અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર બાદ મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વર્ષ-૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં કુલ રૂપિયા ૩૬૯.૭૪ કરોડના કામો કરવામાં આવ્યા છે.જેમાં શહેરમાં ૨૭ નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન કાર્યરત કરવાની સાથે ૭ ટાંકીની ક્ષમતા વધારવામાં આવી છે.આ સાથે જ ચાર નવી ઓવરહેડ ટાંકી બનાવીને કુલ ૨૬૧.૪૨ મિલીયન લીટર પાણીની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.દરમ્યાન બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીન શેખનો આ મામલે સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે જ્યાં નેટવર્ક છે ત્યાં પણ વોર્ડમાં તંત્ર પાણી આપતુ નથી.વોર્ડમાં ગુડલક બેરલની પાછળ ૬૦ સોસાયટીઓ આવેલી છે આ તમામમાં નેટવર્ક હોવા છતાં પાણી આપવામાં આવી રહ્યુ નથી. મેયરે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, ૨૦૦૦થી ૨૦૦૫ દરમ્યાન દાણીલીમડા વિસ્તારમાંથી બે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને એક ડેપ્યુટી મેયર ચુંટાઈને આવ્યા હતા તેમણે કોઈ કામગીરી ન કરી હોવાના કારણે આજે આ પરિસ્થિતિ સર્જાવા પામી છે.
આગળની પોસ્ટ