દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડોને અંજામ આપી એન્ટિગામાં બેઠેલા હીરા વ્યવસાયી મહેુલ ચોક્સીએ હવે ભારતની નાગરિકતા પણ છોડી દીધી છે. ચોક્સીએ સોમવારે તેનો ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે. ચોક્સીએ એન્ટિગા હાઇ કમિશનમાં પાસપોર્ટ જમા કર્યો છે. નોંધનીય છે કે મહેુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં ૧૪ હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. કૌભાંડ સામે આવે તે પહેલા જ ચોક્સી જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયો હતો. આ કેસમાં તેનો ભત્રીજો નિરવ મોદી પણ આરોપી છે.
નાગરિકતા છોડવા માટે ચોકસીએ ૧૭૭ યુએસ ડોલરનો ડ્રાફ્ટ જમા કરાવ્યો છે. ચોક્સીએ હાઇ કમિશનને જણાવ્યું કે તેણે નિયમો હેઠળ એન્ટિગાની નાગરિકતા મેળવી લીધી છે અને ભારતની નાગરિકતા છોડી દીધી છે.
ચોક્સીના પ્રત્યાર્પણમાં લાગેલી સરકાર માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિમાનમાં ૪૧ કલાક મુસાફરી કરીને તે ભારત આવવા માટે સક્ષમ નથી. ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ એ સ્પેશિયલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા દાખલ અરજીના જવાબમાં આ વાત જણાવી હતી.