ભારત દેશનું પરિવહન ખર્ચ કુલ GDP નાં ૧૩ થી ૧૪ % જેટલો થાય છે, જ્યારે આ ખર્ચ વિકસિત દેશો જેમકે અમેરીકામાં ૮% જેટલો જ થાય છે. દેશના કુલ માલસામાનનાં ૬૦% જેટલો સામાન રોડ માર્ગે પરિવહન થાય છે, જ્યારે ચીન જેવા દેશમાં આ પ્રમાણ માત્ર ૩૫-૪૦ % જેટલું છે. આમ પરિવહન ખર્ચ ઘટાડવા, રોડ પરનો ટ્રાફિક હળવો કરવા તથા કાર્બનનું ઉત્સર્જન ૧૦% જેટલુ ઘટાડવા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં “મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક” વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે ૩૫ જગ્યાઓ નકકી કરવામાં આવેલ છે. જે પૈકી ૬ ગુજરાતના છે. જેમા અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ અને કંડલાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં આવા એક લોજીસ્ટીક પાર્ક ગુજરાતમાં સુરત પાસે સાકાર થાય તે માટે કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સના મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ સુરત ખાતે સમિક્ષા બેઠક યોજેલ હતી.
ભારત સરકારની નેશનલ હાઈવે ઓથોરીટી, રેલ્વે અને નાગરીક ઉડ્ડયન, મંત્રાલય વેરહાઉસ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ વિગેરેની પ્રવૃતિને સાંકળીને “મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક” વિકસાવવામાં આવશે. આ પાર્કમાં પરિવહનને લગતી પ્રવૃત્તિ ગોડાઉન વિગેરેને વૈજ્ઞાનિક રીતે જોડીને નેશનલાઈઝેશન કરવામાં આવે છે તેથી તેના ઉદ્દેશો પાર પાડી શકાય.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટ સમિટમાં સુરત ખાતે આવા લોજીસ્ટીક પાર્કનો વિકાસ કરવા માટે સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા વચ્ચે એક કરાર કરવામાં આવેલ છે. જેને આગળ વધારવા આજે સમિક્ષા કરવામાં આવેલ.
સુરત શહેર નજીક આ પ્રકારનાં પાર્કનાં નિર્માંણથી ગુજરાતના ઉદ્યોગો અને માળખાકીય સુવિધાના વિકાસને વેગ મળશે.
આ બેઠકમાં મેયરશ્રી સુરત શહેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કલેકટર, ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ, નેશનલ હાઇવેના અધિકારીઓ, સુરત મ્યુ. કોર્પોરેશનનાં કમિશ્નર, વિગેરે અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.