પશ્ચિમ બંગાળ રાજ્યમાં રથયાત્રા કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીને પરવાનગી આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે ગુપ્તચર એજન્સીઓએ આપેલી માહિતીના આધારે પશ્ચિમ બંગાળ સરકારે રથયાત્રા નીકળશે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે એવી જે ભીતી વ્યક્ત કરી છે એ ખોટી નથી તેમ છતાં ભારતીય જનતા પાર્ટી તે રાજ્યમાં એની ૧૫૦ જાહેર સભાઓને સંબોધિત કરી શકશે. કારણ કે, મુખ્ય પ્રધાન મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમુલ પાર્ટીની સરકારે તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જોકે એણે શરત એવી મૂકી છે કે ભાજપે રાજ્યમાં દરેક જાહેર સભાની વિગત સરકારને અગાઉથી આપવાની રહેશે.