દેશના ચીફ ઈલેક્શન કમિશનર સુનીલ અરોરાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડાં થઈ શકે જ નહીં. કેટલીયે વખત રાજકીય પાર્ટીઓ ઈવીએમને લઈને સવાલો પેદા કરી ચૂકી છે. એટલું જ નહીં ચૂંટણી પંચ સમક્ષ કેટલીક વિપક્ષ પાર્ટીઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી ચૂકી છે.
ચીફ ઈલેકશન કમિશનર સુનીલ અરોરાએ ચંદીગઢમાં નિવેદન આપતા જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સાથે છેડછાડ થઈ શકતી નથી અને એક તજજ્ઞ કમિટી આના પર નજર રાખી રહી છે. દેખરેખ સમિતિના સભ્યો એવા નથી કે તેમની સાથે સંપર્ક સાધી શકાય કે તેમની પર કોઇ પણ પ્રકારનું દબાણ પણ લાવી શકાય. ચંદીગઢના પીજીઆઈએમઈઆરના એક શૈક્ષણિક સત્રના ઉદ્ગઘાટન દરમિયાન તેમણે કહ્યું કે, સિસ્ટમની પ્રામાણિકતા પર શંકાનું કોઈ કારણ નથી.
આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સુનીલ અરોરાએ જણાવ્યું કે, અમે પૂરતા પ્રયત્નો કરીશું અને મને વિશ્વાસ છે કે અમે એક વિશ્વસનીય, નિષ્પક્ષ, તટસ્થ અને નૈતિક ચૂંટણી કરાવવામાં સફળ રહીશું.