પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ લકમે બોરીસણા ગામમાં દલિત લોકોની સમસ્યાઓ સાંભળી હતી. દલિત સમુદાયનાં લોકોની મુખ્ય સમસ્યાઓમાં પાણીની સમસ્યા મુખ્ય હતી કારણ કે જૂની પાણીની ટાંકી જે હતી તે તોડી નાંખવામાં આવી છે અને તેનાં સ્થાને નવી ટાંકી હજુ સુધી બનાવવામાં આવી નથી જેનાં કારણે હાલમાં સીધા બોરમાંથી પાણી આપવામાં આવે છે જેનાં કારણે દલિત મહોલ્લામાં ઉંચાણવાળી જગ્યાએ હોવાનાં કારણે ત્યાં પૂરતું પાણી પહોંચતું નથી તેથી જો આ પાણીની ટાંકીને એની એ જ જગ્યાએ બનાવવામાં આવે તો સમગ્ર ગામની પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે તેવું લોકોએ જણાવ્યું હતું તથા ત્યાં વણકરવાસમાં ગટર લાઈન પણ નથી તો કેટલીક જગ્યાએ ગટર લાઈન છે પરંતુ મહોલ્લામાં ન હોવાનાં કારણે મહોલ્લામાં ગટર લાઈન આવે તેવી તેમની માંગણી છે.
વડસર ગામનાં દલિત ભાઈઓની માંગણી છે કે, તેમને ત્યાં બોર મંજુર થઈ ગયો છે, બોર માટેનો હૉલ પણ પાડવામાં આવ્યો છે અને પાંચ મહિનાથી ત્યાં ડીપી પણ લાગી ગઈ છે પરંતુ બોર મંજુર થઈ ગયો હોવા છતાં આગળની કાર્યવાહી થતી નથી તેથી તાકીદે આ કાર્યવાહી પૂરી કરી બોર ચાલુ કરવા માટે તેઓની માંગણી છે.
વિશેષમાં તેઓએ જણાવ્યું છે કે, હાલમાં વડસર ગામનાં સરપંચ મહિલા છે. મહિલા સરપંચ અંબાબેન ચીમનલાલ પરમારની માંગણી છે કે, તેમનાં ગામમાં તેમની પાસે ખુલ્લી જમીન છે અને સમાજનાં જુદા જુદા ત્રણ મહોલ્લા છે. લગ્ન પ્રસંગે તથા સામાજિક કાર્યક્રમો કરવા માટે કોઈ ચોક્કસ જગ્યા ન હોવાથી તેથી નાનો એવો હૉલ બાંધવા માટે જો ગ્રાંટ ફાળવવામાં આવે તો ત્યાં સામાજિક પ્રસંગો તથા રાજકીય નાનાં-મોટાં કાર્યક્રમો ત્યાં થઈ શકે તે માટે તેઓએ પાંચ લાખ રૂપિયાની ગ્રાંટની માંગણી કરેલ છે. ઉપસ્થિત આગેવાનો દ્વારા આ કામ ઝડપભેર પૂરું કરાવવા માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરવામાં આવશે તેમ તેઓએ મહિલા સરપંચને જણાવ્યું છે.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ લકુમ સાથે ભરત સોલંકી (કલોલ શહેર પૂર્વ મહામંત્રી), યોગેશ વર્મા (કલોલ શહેર એનજીઓ સેલ કન્વીનર) સહિતનાં ઘણાં કાર્યકર્તા હાજર રહ્યા હતાં.