ચીનમાં ઇસ્લામનું સ્વદેશીકરણ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે. જે મુજબ આગામી પાંચ વર્ષમાં ઇસ્લામમાં ચીનનાં મૂલ્યો ઉમેરવામાં આવશે. આ કાયદામાં ઇસ્લામના સિનિસાઇઝેશનની વાત કરવામાં આવી છે- જેનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુનું ચીનીકરણ કરવું. ચીનના સરકારી અધિકારીઓનાં આઠ ઇસ્લામિક એસોસિયેશનથી વિચારવિમર્શ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું.
અહેવાલ મુજબ અધિકારીઓએ એ વાત પર સહમતી દર્શાવી હતી કે ઇસ્લામમાં સમાજવાદનાં મૂલ્યોને સામેલ કરવામાં આવે અને ધર્મનું ચીનીકરણ કરવામાં આવશે.
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પર પ્રતિબંધના અહેવાલ પછી આ નિયમ બનાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આશરે ૧૦ લાખ ઉઇગુર મુસ્લિમોને ચીનના કેમ્પોમાં રાખવામાં આવ્યા છે અને તેમને ઇસ્લામ મુજબ પરંપરાઓનું પાલન નથી કરવા દેવામાં આવતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચીનના કેટલાય હિસ્સાઓમાં ઇસ્લામને માનવું ગેરકાયદે છે. આ વિસ્તારોમાં રોજા રાખવા, નમાજ અદા કરવી, દાઢી વધારવી અને પછી હિજાબ પહેરનારની ધરપકડ કરવામાં આવે છે.