પાક.ના પંજાબ પ્રાંતની સરકારે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને તેમની કોટડી સાફ કરવા માટે નોકર અથવા સહાયક આપવા ઇનકાર કર્યો હતો પરિણામે શરીફને પોતે જ સફાઇ કરવી પડશે. શરીફ હાલમાં અલ અઝીઝીયા સ્ટિલ મિલ્સ કેસમાં લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલ ભોગવી રહ્યા છે અને પૂર્વ વડા પ્રધાન હોવાના નાતે તેમને કેદીઓમાંથી જ કોઇ સહાયક સહિતની સુવિધાઓ મળવા પાત્ર હોય છે.
પંજાબની જેલોના આઇજી એ કહ્યું હતું કે પંજાબ સરકારે નિર્ણય કર્યો હતો કે શરીફને કોઇ સહાયક કેદી ફાળવી ના શકાય કે જે શરીફને મદદ કરે. પરિણામે શરીફને પોતે જ પોતાની કોઠડીની સફાઇ કરવી પડશે. જેલના વડાએ કહ્યું હતું કે ‘ સાત વર્ષની સખ્ત કેદની સજા કાપવા તેમના રૂમની સફાઇ તેમને જાતે જ કરવી પડશે’. પંજાબના ગવર્નર ચૌધરી સરવરની હાજરીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે શરીફનો કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમને તેમની કોઠડીની બહાર મોકલી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે તેમની બેરેકમાં જ સખ્ત કેદની સજા પુરી કરવાની છે.જેલ મેન્યુઅલ મુજબ, પૂર્વ વડા પ્રધાનને તેમની કોઠડીને જાતે જ સાફ કરવા કહેવામાં આવ્યું હતું. જો કે પાછળથી તેમણે ખુલાસો કર્યો હતો કે શરીફને સખ્ત કેદની સજા નથી એટલે જ વયોવૃધ્ધ કેદીઓને કેટલીક ચોક્કસ રાહતો અપાય છે. ‘જેલમાં નવાઝ શરીફ સાથેની કોઇપણ વાત પાકિસ્તાન માટે બદનામી હશે’એમ શાહીદ સલીમ બેગે કહ્યું હતું.