અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મિલ્કતવેરા વિભાગ છેલ્લા કેટલાક સમયથી કૌભાંડો માટે જાણીતો બન્યો છે.એવા સમયે આ વિભાગનું વધુ એક કૌભાંડ બહાર આવવા પામ્યું છે.જેમાં ખાલી મિલ્કત અંગે અરજી કરનારા અરજદારોને ૭૫ ટકા સુધીનો લાભ આપવાની નિયમ મુજબ જોગવાઈ હોવા છતાં કરદાતાઓને માત્ર ૬૭ ટકા સુધીનો જ લાભ આપવામાં આવ્યો છે.આમ કરદાતાઓને અન્યાય કરવાની સાથે આર્થિક નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કરદાતાઓ જે સમયે તેમની મિલ્કત ખાલી હોવા અંગેની અરજી મ્યુનિસિપલ તંત્રમાં કરે તે સમયે સ્થળ તપાસ અને પુરાવાના આધારે તેને ભરવાપાત્ર રકમની સામે ૭૫ ટકા સુધીનો લાભ આપવાની જોગવાઈ બીપીએમસી એકટની જોગવાઈઓમાં છે.આમ છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના તમામ છ જેટલા ઝોનમાં આવતી ખાલી મિલ્કત અંગેની અરજીઓમાં માત્ર ૬૭ ટકા સુધીનો જ લાભ કરદાતાઓને આપવામાં આવી રહ્યો છે. આમ કરદાતાઓને મોટુ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.આ અંગે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેઓ તંત્રના બચાવમાં આવી ગયા હતા.તેમની દલીલ છે કે,હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીપીએમસી એકટ અમલમાં આવી ગયો છે.ઉપરાંત નવા એકટમાં ખાલી મિલ્કત અંગેની આવતી અરજીઓમાં કેટલા ટકા સુધીનો લાભ આપવો આ અંગે કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી.આ સાથે જ તેમણે કહ્યું કે,અગાઉના એકટમાં ૬૭ થી ૭૫ ટકા સુધીની રાહત આપવાની વાત છે.પરંતુ તંત્ર દ્વારા ૬૭ ટકા સુધીની કરરાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે ૧ એપ્રિલથી ખાલી મિલ્કત અંગે વિવિધ છ ઝોનમાં હજારોની સંખ્યામાં કરદાતાઓ દ્વારા ખાલી મિલ્કતનો લાભ લેવા અરજી કરવામાં આવતી હોય છે.સત્તાવારસૂત્રોના કહેવા અનુસાર,એકટમાં સાફ જોગવાઈ હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની અરજી કરવાવાળા કરદાતાઓને ખાલી મિલ્કત અંગે ૭૫ ટકાને બદલે માત્ર ૬૭ ટકા રાહતનો જ લાભ આપવામાં આવ્યો છે જેને લઈને કરદાતાઓને મોટુ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.