ગ્રેટર નોઇડાનાં સરકારી પાર્કમાં પોલીસે કેટલીક ખાનગી કંપનીનાં મુસ્લિમ કર્મચારીઓને નમાજ પઢવા પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી બુધવારે ભાગવતકથાનાં આયોજનને પણ રોકવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે કથા માટે જરૂરી પરવાનગી લેવામાં નહીં આવતા તેનો મંડપ બાંધતાં રોકવામાં આવ્યા હતા. ગ્રેટર નોઇડાનાં સેક્ટર ૩૭માં શ્રીમદ ભાગવત કથાનું ૯ દિવસ માટે બુધવારથી આયોજન કરાયું હતું.જો કે અધિકારીઓએ બુધવારે મંડપ, મંચ અને લાઉડ સ્પીકર હટાવ્યા હતા. જેનો કથાનાં આયોજકોએ વિરોધ કર્યો હતો. અધિકારી સચિનસિંહે કહ્યું હતું કે આયોજકોને કથા યોજવા પરવાનગી અપાઈ નથી જો તેઓ કથા યોજવા પ્રયાસો કરશે તો તે ગેરકાયદે ગણાશે.અધિકારીઓએ દાવો કર્યો હતો કે કાસના વિસ્તારનાં કેટલાક રહીશોની ફરિયાદને પગલે કથાની મંજૂરી અપાઈ નથી. પોલીસે કહ્યું કે સરકારનાં અધિકારીઓએ આ નિર્ણય લીધો છે પોલીસની તેમાં કોઈ ભૂમિકા નથી. ગ્રેટર નોઇડાનાં એડિશનલ સીઈઓ કે. કે. ગુપ્તાએ કહ્યું હતું કે પોલીસ અને સિટી મેજિસ્ટ્રેટની સમીક્ષા પછી મંજૂરી આપી શકાય છે.આ અગાઉ ડિસેમ્બરનાં પ્રારંભમાં નોઇડાની સેક્ટર ૫૮ની પોલીસે ૨૩ કંપનીઓને નોટિસ બજાવીને તેમનાં મુસ્લિમ કર્મચારીઓને સરકારી પાર્કમાં નમાજ નહીં પઢવાનો આદેશ આપ્યો હતો. પોલીસના આ આદેશ પછી પાર્કમાં મુસ્લિમોનાં નમાજ પર પ્રતિબંધ સામે વિવાદ સર્જાયો છે.