શહેરના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ૧૧ વર્ષ નાના પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ કિસ્સામાં નોંધનીય વાત તો એ છે, આ પરિણિતાને પોતાનાથી ૧૧ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને બાદમાં આખીય વાત દુષ્કર્મ સુધી પહોંચી હતી. પરિણિતાની ફરિયાદના આધારે આનંદનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ ખાતેની એક સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતાને જામખંભાળિયાના યુવક સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. ફેસબુક પર નિયમિત રીતે વાતચીત અને ચેટીંગ ચાલ્યા બાદ મોબાઇલ પર વાતોનો દોર આગળ વધ્યો હતો અને છેવટે બંને વચ્ચેની આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. પ્રણયસંબંધ પાકો થઇ જતાં જામખંભાળિયાનો પ્રેમી યુવક પરિણીતાને મળવા અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન ચના ઉર્ફે સંજય ખારા નામના યુવકે પરિણીતાના બિભત્સ ફોટો પાડી લીધાં હતાં. બાદમાં આરોપીએ આ ફોટોગ્રાફસ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં વાઈરલ કરવાની ધમકી આપી પરિણીતા સાથે પાલડીમાં આવેલી એક હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિણિતાએ આનંદનગર પોલીસમથકમાં પોતાના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ સમગ્ર મામલે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આરોપી પ્રેમીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સોશ્યલ મીડિયા મારફતે મિત્રતા કેળવતા કે પ્રેમ કરી જલસા કરવામાં માનતા તત્વો માટે આ સમગ્ર કિસ્સો ગંભીર ચેતવણીરૂપ અને બોધપાઠ સમાન કહી શકાય.
આગળની પોસ્ટ