વેરાવળ ખાતે આજે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનો રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ગ્રામ્ય અને શહેરી જિલ્લા મુજબ કુલ ૩૯ જિલ્લાનાં ૪૦૦ થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધા તા. ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. પ્રથમ દિવસે અંડર-૧૭માં નવસારી જિલ્લાની ટીમ પ્રથમ, રાજકોટ શહેર દ્રીતીય અને મહેસાણા તૃતીય સ્થાને વિજેતા થયા હતા.
અંડર ૧૭, ઓપન એઇઝ ગૃપ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષની ઉપરનાં સ્પર્ધકો માટે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, સ્પોર્ટસ ઓથોરીટી અને જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આયોજીત આ સ્પર્ધાનો પ્રારંભ કરાવી શ્રી રાજશીભાઇએ કહ્યું કે, રાજ્ય સરકાર યુવાનોને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન કરે છે અને રમત-ગમતથી યુવાનોમાં જોમ જુસ્સા સાથે ખેલદીલીની ભાવના પ્રબળ બને છે.
યુવાનોને પ્રોત્સાહીત કરતા પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડે કહ્યું કે, રસ્સાખેંચ સ્પર્ધામાં યુવાનો ખમીર અને તાકાત બતાવશે. સતત બીજા વર્ષે ગીર-સોમનાથ જિલ્લાને રાજ્યકક્ષાની સ્પર્ધા આપવા બદલ તેમણે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડે તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી.
સ્પર્ધાના પ્રારંભે સુરત ગ્રામ્ય અને ગાંધીનગરનાં યુવાનો, ગાંધીનગર ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય, જામનગર સીટી અને રાજકોટ ગ્રામ્યનાં અંડર-૧૭ સ્પર્ધકો તેમનો જુસ્સો બતાવ્યો હતો. જામનગર સીટીનાં કેપ્ટન પરમાર વિષ્નુએ કહ્યું કે, સોમનાથ દાદાનાં સાનીધ્યે સ્પર્ધામાં સહભાગી થવાનો આનંદ છે. સુરત ગ્રામ્યનાં કેપ્ટન નિમિત્ત માંગુકીયા અને ગાંધીનગર ટીમનાં કેપ્ટન જશ પટેલે આવી સ્પર્ધાઓથી સંઘ ભાવના વિકસવા સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે તેમ જણાવ્યુ હતુ.. સ્પર્ધાનાં પ્રારંભે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી વિશાલ જોષીએ સ્વાગત પ્રવચન, દિપક નિમાવતે કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હિતેષ દિહોરાએ કરી હતી. સ્પર્ધાને સફળ બનાવવાં ચીફ રેફરી અને સેક્રેટરી રાજુભાઇ પોલ, સ્પર્ધાના કન્વીનર અર્જૂન પરમાર તથા વ્યાયામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ