કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કાશ્મીરી યુવકને જીપના બોનેટ સાથે બાંધીને ફેરવનાર સેનાના મેજર નીતિન લિતુલ ગોગોઈના વખાણ કરતા તેમને પદ્મ ભૂષણ આપવાની વકીલાત કરી. મેજર ગોગોઈએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે જો તેમણે આ પગલું ન ભર્યુ હોત તો અનેક લોકોના જીવ ગયા હોત.હાઈવે અને શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે મેજર ગોગોઈએ પોતાની બુદ્ધિતત્પરતાનો ઉપયોગ કરીને જવાનોના જીવ બચાવ્યાં. આ તેમની રણનીતિ હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે તેમને પદ્મ ભૂષણ મળવો જોઈએ. ગડકરી પરેશ રાવલની ટિ્વટ ઉપર પણ બોલ્યાં. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી સાંસદ પરેશ રાવલના નિવેદન સાથે સહમત નથી. નીતિન ગડકરીએ પરેશ રાવલની ટિ્વટ મામલે બોલતા કહ્યું કે પરેશ રાવલે જે ટિ્વટ કરી કે પ્રદર્શનકારીની જગ્યાએ અરુંધતિ રાયને આર્મીની જીપ સામે બાંધવી જોઈએ તેની સાથે તેઓ સહમત નથી.
ગડકરીએ વધુમાં કહ્યું કે ત્યાં એ લોકો હતાં જેઓ સેના વિરુદ્ધ બોલી રહ્યાં હતાં. પીએમ મોદીના વખાણ કરતા ગડકરીએ કહ્યું કે મોદી સરકારે ઉત્તરપૂર્વી રાજ્યો અને જમ્મુ કાશ્મીરમાં વધુમાં વધુ કામ કર્યુ છે. કેન્દ્ર સરકારે આ રાજ્યોના વિકાસ માટે એટલુ ફંડ જારી કર્યું જેટલું તો છેલ્લા ૫૦ વર્ષોમાં પણ નથી થયું.
અત્રે જણાવવાનું કે મેજર ગોગોઈ એ જ આર્મી ઓફિસર છે જેમણે એપ્રિલમાં પેટાચૂંટણીના મતદાન વખતે કાશ્મીરી પથ્થરબાજો વિરુદ્ધ એક પ્રદર્શનકારીને આર્મી જીપ સાથે બાંધીને હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ કર્યો હતો. ગોગોઈના મત મુજબ આ કામ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવ્યું હતું. જો ફાયરિંગ થયું હોત તો અનેક લોકોના જીવ ગયા હોત.