શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ છોડશે તેવી છેલ્લાં કેટલાક દિવસથી ચાલતી વાતો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે લાગેલું એક પોસ્ટર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતને આવકાર આપવા માટે લાગેલા આ પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જ ગાયબ છે. આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં મોટાપાયે મતભેદ છે, મોટું ડિઝાસ્ટર છે. હવે તો લોકો પણ મજાક કરે છે, કોંગ્રેસ આવે કે ન આવે પરંતુ બાપુ જાય છે.’આ મુદ્દે પ્રતિક્રિયા આપતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, આવા પ્રકારના પોસ્ટર લાગતા રહે છે, આ પોસ્ટર કોણે લગાવ્યું તે શોધવા માટે પોલીસને પણ જાણ કરાઈ છે. શંકરસિંહ ક્યાંય નથી જવાના તેઓ કોંગ્રેસમાં જ રહેશે. ઉલ્ટાનું ભાજપે સાચવવું જોઈએ કે ક્યાંક તેમના નેતાઓ કોંગ્રેસમાં ના આવી જાય. ગુજરાતની જનતા હવે સત્તા પરિવર્તન ઈચ્છે છે, પ્રજા હવે દુઃખી થઈ ગઈ છે.’ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસની મુલાકાતમાં તેઓ ગુજરાતના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરીને આગામી રણનિતી અંગે ચર્ચા વિચારણા કરશે.