બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ મુદ્દે એક મોટી મુશ્કેલી પાર કરી લીધી છે. થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે વિશ્વાસ મત મેળવી લીધો છે. બુધવારે યોજાયેલા મતદાનમાં થેરેસાના પક્ષમાં ૨૦૦ જ્યારે વિપક્ષમાં ૧૧૭ વોટ પડ્યા છે. થેરેસાના નેતૃત્વને લઇને આ અવિશ્વાસ મત એવા સમયે આવ્યો છે, જ્યારે બ્રેક્ઝિટ નિર્ણય લાગુ થવામાં માત્ર ત્રણ મહિનાને સમય બચ્યો છે. બીજી તરફ, આ સંકટને જોતાં થેરેસાએ પોતાની આર્યલેન્ડની યાત્રાને રદ કરી દીધી હતી.
થેરેસા આર્યલેન્ડની રાજધાની ડબલિનમાં અહીંના વડાપ્રધાન લિયો વરાડકરને મળવાના હતા.સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ કોમન્સ)માં થેરેસા મેએ ભારે મતોથી બહુમતી મેળવી લીધી છે. આ જીતથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે, થેરેસાને પોતાની પાર્ટી અને ગૃહમાં ભારે સમર્થન મળ્યું છે.આ જીતનો સ્પષ્ટ અર્થ એ છે કે, પાર્ટીની અંદર આગામી એક વર્ષ સુધી થેરેસા મેના નેતૃત્વને કોઇ પડકાર નહીં આપવામાં આવે.
આ જીત બાદ થેરેસા વડાપ્રધાન પદે યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતની માફક બ્રિટનમાં પણ પાર્લામેન્ટરી સિસ્ટમ છે. આ વ્યવસ્થામાં સત્તા વડાપ્રધાનની આસપાસ ઘૂમે છે. વડાપ્રધાન ત્યાં સુધી પોતાની ખુરશી પર રહે છે જ્યાં સુધી તેને પોતાની પાર્ટીનું સમર્થન અને નીચલા સદનમાં બહુમત મળેલું હોય.
બ્રેક્ઝિટ મુદ્દે થેરેસા જો પાર્ટીના સાંસદોનો વિશ્વાસ મત હારી જાય છે, તો તેઓએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હોત. એવામાં તેઓએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપવું પડ્યું હોત.કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી લીડર ડેવિડ લિડિંગ્ટનને તેઓની જવાબદારી મળી શકતી હતી અથવા પાર્ટીમાં નવા નેતાની ચૂંટણી કરાવવી પડી હોત, જેમાં થેરેસા ઉમેદવાર તરીકે ના હોઇ શકે. ઉલ્લેખનીય છે કે, બ્રેક્ઝિટ નીતિથી નારાજ તેમની પાર્ટીના ૪૮ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાંસદો અનુસાર, ૨૦૧૬માં જનમત સંગ્રહના પક્ષમાં મતદાન કરનારા લોકોની આશા પર થેરેસા ખરાં ઉતર્યા નથી. જો કે, આ અવિશ્વાસથી એ નક્કી થઇ ગયું કે, પાર્ટીમાં તેઓની સ્થિતિ ક્યાંય પણ કમજોર નથી થઇ.
આગળની પોસ્ટ