જમ્મુ કાશ્મીરના સોપિયનમાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આજે જૈનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. મળેલી માહિતી મુજબ મંગળવારે બપોરે આતંકવાદીઓએ એકાએક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કરી દીધો હતો. આમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. ત્રણ પોલીસ કર્મીઓના મોતથી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. ઘાયલ થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શ્રીનગરના મુંજગુંદમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને ૯મી ડિસેમ્બરના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. પાટનગર શ્રીનગરના બહારના વિસ્તારમાં મૂંજગુડમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરે તોઇબાના હતા. આ અથડામણ શનિવારના દિવસે શરૂ થઇ હતી અને આજ સુધી ચાલી હતી. શનિવારના દિવસે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી ત્યારબાદ મુંજગુડમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો નજીક પહોંચતા ત્રાસવાદીઓએ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણની શરૂઆત થઇ હતી ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ તોઇબાના હોવાના અહેવાલને સંપૂર્ણ સમર્થન મળી ચુક્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન ઓલઆઉટમાં જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. હજુ સુધી ૨૨૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં ૨૩૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી ગતિવિધિઓમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. ગયા વર્ષે આતંકવાદ સંબંધિત ૩૪૨ ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વર્ષે ૪૨૯ ઘટનાઓ ઘટી છે. ગયા વર્ષે ૪૦ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે આ વર્ષે ૭૭ નાગરિકો માર્યા ગયા છે. આ વર્ષે સુરક્ષા જવાનો ૮૦ શહીદ થયા છે. ગયા વર્ષે પણ ૮૦ જવાનો શહીદ થયા હતા.
આગળની પોસ્ટ