કતાર એક જાન્યુઆરી ૨૦૧૯થી તેલ નિકાસ દેશોના સંગઠન ઓપેકમાંથી બહાર થઇ જશે. અહીંના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ સોમવારે આ અંગે જાહેરાત કરી છે.
કાબીએ કહ્યું કે, આ રાજકીય નહીં પરંતુ ટેક્નિકલ અને વ્યૂહાત્મક નિર્ણય છે. તેઓએ જણાવ્યું કે, કતાર પ્રાકૃતિક ગેસ ઉત્પાદન વાર્ષિક ૭૭ મિલિયન ટનથી વધીને ૧૧૦ મિલિયન ટન કરવા ઇચ્છે છે. આ યોજના પર ફોક્સ કરવા માટે ઓપેકમાંથી બહાર થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિદેશી મામલાઓના જાણકાર રહીસ સિંહનું કહેવું છે કે, યુરોપીયન દેશોએ કતારમાં સૌથી વધુ રોકાણ કર્યુ છે. તેઓનો ઉદ્દેશ્ય હતો કે, કતારની મદદથી ઓપેકમાં પોતાનો વિસ્તાર કરે. એવામાં કતારના ઓપેકમાંથી બહાર થવાથી સભ્ય દેશોને અમુક આર્થિક નુકસાન ઉઠાવવું પડશે. આવું થાય છે તો આખા વિશ્વની ઇકોનોમિને પણ અસર થશે. અત્યાર સુધી કતારના ઓઇલ ઉત્પાદનને ઓપેક કંટ્રોલ કરી રહ્યું હતું. પરંતુ કતાર અલગ થયા બાદ પોતાનું પ્રોડક્શન વધારીને ભારત સહિત અન્ય દેશોમાં નિકાસ વધારશે તો તેના ઓઇલ બોન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉછળી શકે છે. આવી સ્થિતિમાં કતારના રોકાણકારોને ફાયદો થશે. કતાર મિડલ ઇસ્ટમાં એક મોટી ઇકોનોમીવાળો દેશ છે. તેના બહાર થવાથી ઓઇલની કિંમતોને લઇને ઓપેકનો એકાધિકાર ખતમ થઇ શકે છે. કારણ કે, ઓપેકના સભ્ય દેશો મળીને ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. કતારના નિર્ણયની ભારત પર સૌથી વધુ અસર નહીં પડે. કારણ કે, ભારતના મુખ્ય ઓઇલ નિકાસ દેશ ઇરાક, સાઉદી અરેબિયા અને ઇરાન છે. યુએઇનો ચોથો નંબર છે. તેલ સિવાય ભારતના કતારની સાથે વધુ વેપાર સંબંધો નથી. જો કે, અમેરિકાના પ્રતિબંધોના કારણે ભારતને ભવિષ્યમાં ઇરાનથી આયાત ઘટાડવું પડશે તો કતારથી ઇમ્પોર્ટ વધારવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે.