ગાંધી પરિવારના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાઢરાની જમીન ખરીદનાર કંપનીને જે પેઢીએ લોન આપી હતી તેને ટેકસ પેનલ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. આ રાહત અંદાજે રૂા.૫૦૦ કરોડની આવક પર અપાઈ છે. ઈડીની ટૂકડી રાજસ્થાનમાં પાછલા દિવસોમાં બિકાનેરમાં વિવાદીત જમીનના લેન-દેનના અનેક કેસની તપાસ કરી રહી હતી. આ તપાસના દાયરામાં વાઢરાની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ઈડીએ આ મામલામાં ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશન પાસેથી ભૂષણ પાવર લિમિટેડ નામની કંપનીની વિગતો માગી છે. આ એ જ કંપની છે જેમણે વાઢરાની જમીન ખરીદનાર કંપનીને લોન આપી હતી એ જ કંપનીએ વાઢરા દ્વારા મેળવાયેલ જમીનને સાતગણા વધુ ભાવ આપીને જમીન ખરીદી છે. બે માસ પહેલાં ઈડીના તત્કાલિક ડાયરેકટર કરનાલસિંગે સેટલમેન્ટ કમિશન પાસેથી કંપનીની વિગતો માગી હતી. ભૂષણ પાવર લિમિટેડને રાહત દેવા માટે નિયમોમાં બાંધછોડ થઈ હતી તેવો આરોપ છે. ઈડી દ્વારા આ પહેલા પણ સેટલમેન્ટ કમિશનની પૂછપરછ કરી ચુકયું છે. તેના જવાબમાં કમિશને એમ કહ્યું હતું કે, બધાકાગળ આગમાં બળીને રાખ થઈ ગયા છે. આ મામલામાં કંપનીને રૂા.૫૦૦ કરોડની રાહત દેવામાં આવી છે તે બાબતે ફરી ઈડીની ટૂકડીએ તપાસના ઘોડા દોડાવી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા વાડ્રાને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યુ છે. આ જમીન સોદો ૨૦૧૫માં બીકાનેરમાં થયો હતો. ૩૬૦ એકર જમીનના સોદામાં વાડ્રાએ પહેલા જમીન ખરીદી હતી અને બાદમાં વેચી દીધી હતી.