છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાં રાહત અનુભવી હતી. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસમાં ગરમીનો પારો વધીને ૪૪ ડિગ્રીને આંબી જશે.અમદાવાદમાં ગઈકાલે સમી સાંજે ૬ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તે પછી તડકો નિક્ળ્યો હતો.
દરમિયાન અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો ગુજરાતમાં અમદાવાદ સિવાયના અન્ય સ્થળો જેવા કે રાજકોટ સહિત અનેક સ્થળે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજ્યમાં સત્તાવાર ચોમાસા પહેલાં જ પ્રિ-મોન્સુન જામી ગયું છે. આજે બે વ્યક્તિના અને ગઈકાલે છના મળીને બે દિવસમાં આઠ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે. અમદાવાદ, વડોદરા, ખેડા-નડિયાદ પંથકમાં વાઝડી અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદથી કેરી, બાજરીના પાકને નુકસાન થયું છે. બરોડા શહેરમાં ગઈકાલે બે વ્યક્તિના મોત થયા હતા. નડિયાદના મહુધા તાલુકાના બગડુ ગામે પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં આધેડનું, માતર-નાયકા રોડ ઉપર વાન ઉપર ઝાડ પડતાં બે વ્યક્તિના, ઠાસરા તાલુકાના બાધરપૂરા નજીક પણ વાવાઝોડાને કારણે સર્જાયેલ અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.