કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં ૧૭૦૦ જેટલી એનજીઓ એટલે કે બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓને નોટિસ પાઠવી ફંડની માહિતી માગી છે. ઈન્ફોસીસ ફાઉન્ડેશન, સ્કોડા ઓટો ઈન્ડિયા, રાજસ્થાન યુનિવસિર્ટી અને મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજ સહિત ૧૭૭૫ એનજીઓને નોટિસો પાઠવાઈ છે. આ બધી સંસ્થાઓને ફોરેન ફંડિષ્ગ અંગેના સ્ટેટમેન્ટ જમા કરાવ્યા નથી અને હવે એમને ૧લી ડિસેમ્બર સુધીની અંતિમ ડેડલાઈન આપવામાં આવી છે. આ બધી સંસ્થાઓએ વાર્ષિક આવક-જાવકનો રિપોર્ટ રજૂ કર્યો નથી. અનેકવાર રિમાઈન્ડરો આપવા છતાં જવાબ દીધો નથી માટે હવે શો-કોઝ નોટિસો પાઠવવામાં આવી છે.
૬ વર્ષથી આ બધી બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓએ વિદેશથી મળતા ફંડ અંગે કોઈ જાણકારી સરકાર સુધી પહોંચાડી નથી. હવે જો આ ૧૭૭૫ સંસ્થાઓ ૧લી ડિસેમ્બર સુધીમાં આ બધા રિપોર્ટ જમા નહી કરાવે તો એમની સામે અતિ કડક કાર્યવાહી થશે તેવી ચીમકી અપાઈ છે. બધા સામે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે. હેવી પેનલ્ટી પણ લગાવવામાં આવશે.
મુંબઈના સિધ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને પણ આ નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ સંસ્થાને પણ નોટિસ અપાઈ છે. કચ્છના યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશનને નોટિસ મોકલાઈ છે અને તેના માટે પણ ૧લી ડિસેમ્બરની જ અંતિમ તારીખ રાખવામાં આવી છે.