પંજાબ નેશનલ બેંક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઇને ફરાર છે અને પરત આપવા તૈયાર નથી, પરંતુ હવે તે બે વિદેશી બેંકો પાસેથી લેવામાં આવેલી લોન ચૂકવવા તૈયાર છે.અમેરિકાની એચએસબીસી બેંક અને ઇઝરાયલ ડિસ્કાઉન્ટ બેંકે નીરવ મોદીની કંપનીઓ પાસેથી વસૂલાત કરી લીધી છે.
બંને બેંકોને ન્યૂયોર્કથી કોર્ટ દ્વારા બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે આદેશ મળ્યો હતો અને આ આદેશ મુજબ તેમણે વસૂલાત કરી લીધી છે.
આમ, એક બાજુ ભારતની પંજાબ નેશનલ બેંક હજુ નીરવ મોદી પાસેથી વસૂલાત કરવામાં નિષ્ફળ રહી છે તો બીજી બાજુ વિદેશી બેંકોને વસૂલાત કરવામાં સફળતા મળી છે.
ન્યૂયોર્કની આઇબીબી બેંકે નીરવ મોદીની ત્રણ કંપનીઓને રૂ.૧.ર૦ કરોડ ડોલરની લોન ર૦૧૩માં આપી હતી.જ્યારે એચએસબીસીએ ર૦૦૮માં રૂ.૧.૬૦ કરોડ ડોલરની લોન આપી હતી.
આ લોન નીરવ મોદીની કુલ સંપત્તિથી ઘણી ઓછી છે અને આ દૃષ્ટિએ યુએસ ટ્રસ્ટીએ બેંકો અને કોર્ટની ખાતરી આપી છે કે તેની વસૂલાત થઇ જશે.જોકે હજુ સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી કે જે સંપત્તિની વાત વિદેશીબેંકો સમક્ષ કરવામાં આવી છે તેમાં ભારતીય એજન્સીઓને જપ્ત કરેલ સંપત્તિનો સમાવેશ થાય છે કે કેમ?
અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદી પર રૂ.૧૩,૦૦૦ કરોડનું પીએનબી કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નીરવ મોદીની સાથે તેના મામા મેહુલ ચોકસી પણ આ કૌભાંડમાં સંડોવાયા હોવાનો આરોપ છે. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બંને હાલ ફરાર છે.