સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમાપુરથી સાયલા નોકરી પર જવા ઇકો કારમાં બેઠેલી સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રની એક નર્સ ઇકોચાલકના દુષ્કર્મના પ્રાયસને તાબે નહી થતાં આરોપી ઇકોચાલકે તેણીને માથામાં બોથડ પદાર્થ મારી કરી નીચે પટકી હત્યા કરી નાંખી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બીજીબાજુ, પોલીસે ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં આરોપી ઇકોચાલક શાંતુભાઇ ખાચરની ધરપકડ કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સાયલાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી નર્સ પર વાટાવછના ઇકો કારના ચાલકે બળાત્કારનો પ્રયાસ કરતા તાંબે ન થતાં નર્સના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યાનું પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ઇકો ચાલક કાઠી શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. સાયલા તાલુકાના ઉમાપુર ગામના વતની અને સાયલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષની પરિણિતા વડીયા ગામના તળાવ પાસે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં કુટુંબીના ધ્યાને આવતા તેના પતિને ઘટનાસ્થળે બોલાવ્યા બાદ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવે તે પહેલા સાણંદ નજીક પહોંચ્યા ત્યારે પરિણિતાનું મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પરિણિતા દિવાળીની રજામાં ઉમાપુર ગામે પોતાના વતન આવ્યા હતા અને ગઈકાલે સવારે સાયલા ફરજ પર હાજર થવા માટે ઉમાપુરથી શાંતુભાઇ બાવકુભાઈ ખાચરની ઇકો કારમાં બેઠા હતા. ઇકો કારમાં પરિણિતા એકલા જ બેઠા હોવાથી વડિયા ગામ નજીક પહોંચ્યા ત્યારે પરિણિતાપર નિર્દય હુમલો કર્યો હતો. તેને તાબે ન થતાં શાંતુભાઇ ખાચરએ માથામાં બોથડ પદાર્થ મારી તળાવ નજીક ફેંકી ભાગી ગયાનું પરિણિતાએ પોતાના પતિન ેજણાવ્યું હતું. પરિણિતાને અમદાવાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા સાણંદ નજીક મૃત્યુ નીપજતા લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડી હતી. સાયલા પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે રાયધનભાઇ ભનાભાઈ કોળીની ફરિયાદ પરથી ઇકો ચાલક શાંતુભાઇ બાવકુભાઇ ખાચર સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આગળની પોસ્ટ