રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે લોક સંગઠનોએ સત્તામાં બેઠેલા લોકોના સેવક હોવું જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે લોક સંગઠનોના લોકોએ રાજકારણથી પણ દૂર રહેવું જોઈએ. આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક દત્તોપંત ઠેંગડીની સ્મૃતિમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યુ છે કે પ્રશાસન તંત્રએ બંધારણ પ્રમાણે કામ કરવાનું હોય છે અને લોક સંગઠનોની આગેવાનીમાં સતર્ક નાગરિકોએ આને સુનિશ્ચિત કરવું પડશે.
તેમણે ક્હ્યુ છે કે તેની શું ગેરેન્ટી છે કે સત્તા બંધારણનું પાલન કરશે? લોક સંગઠનોના નેતૃત્વમાં સતર્ક નાગરીક આની ગેરેન્ટી છે અને તેથી તેમણે સત્તામાં બેઠેલા લોકોના સેવક બનવું જોઈએ નહીં. ભાગવતે કહ્યુ છે કે સત્તામાં ઘણાં લોકો હોય છે કે જેઓ પરિવર્તન લાવવા ચાહે છે. પરંતુ પ્રવર્તમાન વ્યવસ્થાને કારણે તેમના હાથ બંધાયેલા છે. લોક સંગઠનોએ સત્તાના રાજકારણથી દૂર રહેવું જોઈએ.
સત્તા એક વ્યવસ્થા છે. વ્યવસ્થાનો ભાગ બનીને સત્તા ક્યારેય પરિવર્તન લાવવામાં મદદ કરતી નથી. દત્તોપંત ઠેંગડીના જીવન સંદર્ભે વાત કરતા ભાગવતે કહ્યુ છે કે આપણે ઠેંગડીની વિચારધારા મુજબ તેમના જીવનને જોવું પડશે. આપણે એ પણ જોવું પડશે કે તેમના દ્વારા સ્થાપિત સંગઠનોની પાછળ તેમની શું લાગણી હતી?