માન્ચેસ્ટરમાં ઇન્ડોર એરેના ખાતે ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આતંકવાદીઓનો ઇરાદો મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો. બહાર નિકળવાના પ્રવેશદ્વાર પૈકીના એક પર આત્મઘાતી હુમલો કરવામાં આળ્યો હતો. બીજી બાજુ માન્ચેસ્ટર હુમલામાં મોટી ખુવારી થયા બાદ બ્રિટનની સંસદના ગૃહ ઉપર ધ્વજ અડધીકાઢીએ કરી દેવામાં આવ્યા છે. બેઠકોનો દોર શરૂ થયો છે. થેરેસા મેનું કહેવું છે કે, આ સંદર્ભમાં તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બ્રિટિશ પોલીસે લંડનમાં વિક્ટોરિયા કોચ સ્ટેશનને બંધ કરી દેવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ઇન્ડિયન હાઇકમિશને પણ રિસ્પોન્સ ટીમની રચના કરી દીધી છે. ભારતીય લોકોને મદદરુપ થવા માટે હાઈકમિશન સંપૂર્ણપણે સક્રિય છે. માન્ચેસ્ટરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં કોઇ ભારતીય છે કે કેમ તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.
ભારતીય નાગરિકોની મદદ કરવા માટે હેલ્પલાઈન નંબરો શરૂ કરવામાં આવી રહ્યા છે. એક જ આત્મઘાતી હુમલાખોરે આ કૃત્ય કર્યું હતું. યુકે પોલીસે કહ્યું છે કે, આત્મઘાતી હુમલામાં કેટલાક બાળકોના પણ મોત થયા છે.
બીજીબાજુ અમેરિકાએ કહ્યું છે કે તે માન્ચેસ્ટર એરેનામાં પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. આ બનાવના સંદર્ભમાં માહિતી મેળવવા અન્ય દેશો સાથે પણ તે સંપર્કમાં છે. સત્તાવાર નિવેદનમાં અમેરિકાએ કહ્યું છે કે, ડિપોર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટી દ્વારા માન્ચેસ્ટર એરેનામાં સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે કહ્યું છે કે, ગઇકાલે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં સામેલ કોઇપણ વ્યક્તિ માટે મદદ કરવાની પોલીસે તૈયારી કરી છે. બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે, આ હુમલો કરવામાં આવ્યા બાદ થેરેસા મેની પાર્ટી કન્ઝર્વેટીવ પાર્ટીને મદદ મળી શકે છે. ઓપિનિયન પોલમાં હાલમાં આ પાર્ટીની લીડ હતી.
કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા થેરેસા મે બ્લાસ્ટના પરિણામ સ્વરુપે ૮મી જુનના દિવસની ચૂંટણીને લઇને પ્રચારને હાલ બંધ કરે તેવી શક્યતા છે. આતંકવાદી સંગઠનોએ હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી પરંતુ ઇસ્લામિક સંગઠનનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા પર પણ આના લીધે અસર થઇ શકે છે. થેરેસા મે અને ઉમેદવારોએ બ્લાસ્ટ બાદ પ્રચારને બંધ કર્યો છે.
બીજી બાજુ આઈએસના ત્રાસવાદીઓ બ્લાસ્ટની ઉજવણી કરી હોવાના અહેવાલ પણ મળ્યા છે જે સંકેત આપે છે કે, આ બ્લાસ્ટમાં આઈએસનો હાથ હોઇ શકે છે. જો કે, સત્તાવાર કબૂલાત હજુ સુધી કરવામાં આવી નથી. કોન્સર્ટમાં ૨૧ હજારથી પણ વધુ લોકો પહોંચ્યા હતા.
આગળની પોસ્ટ