કૃષિ મહોત્સવ-૨૦૧૭ ની ઉજવણી અંતર્ગત આગામી તા. ૨૭ મી મે, ૨૦૧૭ ને શનિવારના રોજ સવારે ૯=૦૦ કલાકે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇ.એસ.આઇ.સી.- હોસ્પિટલની સામે જી.આઇ.ડી.સી. – અંકલેશ્વર મુકામે નર્મદા–ભરૂચ જિલ્લાના યોજાનારા સંયુક્ત કૃષિ મહોત્સવ અન્વયે “કૃષિ પ્રદર્શન અને કૃષિ સેમિનાર” યોજાશે, જેને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ-ઉર્જા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ખૂલ્લું મુકશે.
આ પ્રસંગે અતિથિવિશેષપદે ગુજરાતના સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ, કૃષિ, શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રીશ્રી વલ્લભભાઇ વધાસિયા, પશુપાલન-ગૌસંવર્ધનના રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે યોજાનારા બે જિલ્લાના આ સંયુક્ત કૃષિ મહોત્સવમાં નર્મદા જિલ્લાના અંદાજે ૧૦ હજાર જેટલા ખેડૂતો ભાગ લે તે પ્રકારનું નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. આ કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા ૩૧૫ જેટલા લાભાર્થી ખેડૂતોને અંદાજે રૂા.૧૭.૬૯ કરોડના ચેક/મંજૂરીપત્રો આપવાનું પણ આયોજન કરાયું છે. અંકલેશ્વર ખાતેના આ કૃષિ પ્રદર્શનમાં નર્મદા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કુલ- ૧૭ જેટલા સ્ટોલ્સનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના માર્ગદર્શન હેઠળ નર્મદાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ.યોગેશભાઇ ભટ્ટ, નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. એન.સી. પટેલ સહિત જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ આ કૃષિ મહોત્સવમાં નર્મદા જિલ્લાની નોંધપાત્ર ભાગીદારી માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.
અંકલેશ્વર ખાતે યોજાનારા બે જિલ્લાના આ સંયુક્ત કૃષિ પ્રદર્શનમાં ૧૦૦ જેટલા કૃષિ વિષયક સ્ટોલ્સ ઉભા કરવાની કામગીરી હાથ ધરાઇ છે, જેમાં સજીવ ખેતીની અદ્યતન માહિતી, કૃષિના ઋષિ-પ્રગતિશીલ બહેનો દ્વારા માર્ગદર્શન, સોઇલ હેલ્થ કાર્ડની અગત્યતા અને જમીનની જાળવણી, કૃષિ વિકાસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ અને સંલગ્ન વિષયોમાં થયેલ સંશોધનોની છેલ્લામાં છેલ્લી જાણકારી, વિવિધ પાકોમાં મૂલ્યવૃધ્ધિ અને બજાર વ્યવસ્થા અંગે જાણકારી, ખેડૂતના કૃષિ વિષયક પ્રશ્નો અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક સેતુ : માહિતી / અનુભવનોની આપ-લે, પિયત પધ્ધતિઓના વિવિધ નિદર્શનો અને તાંત્રિક માહિતી, ખેડૂતોને એક જ જગ્યાએથી કૃષિ સાહિત્યની ઉપલબ્ધિ અને કૃષિ મશીનરી અંગે માર્ગદર્શન અને નવીન જાણકારી પૂરી પડાશે, તેવી જ રીતે આ પ્રસંગે યોજાનારા કૃષિ સેમિનારમાં હાઇટેક હોર્ટીકલ્ચર, પ્રોટેકટેડ કલ્ટીવેશન, સજીવખેતી, મધમાખી ઉછેર અને સ્થાનિક મુખ્યપાત્રો વિશે માર્ગદર્શન પણ પુરૂં પડાશે.