બાહ્ય ફાઈનાન્સિયલ લિંકેજ, ભંડોળની પૂરતી ઉપલબ્ધતા તથા સ્થાનિક અર્થતંત્રના કામકાજમાં વધારાને પગલે ભારતીય અર્થતંત્રની એકંદર સ્થિતિમાં સુધારો થશે તેમ એક સર્વેમાં જણાવાયું છે. જોકે એપ્રિલ-જૂન ક્વાર્ટરના સર્વેમાં ભાગ લેનારી ટોચની ૩૧ બેેંકો તથા નાણાકીય સંસ્થાઓના મતે લિક્વિડિટીની ચુસ્ત સ્થિતિને કારણે નજીકના ભવિષ્યમાં ભંડોળ મોંઘુ બનશે જેના લીધે હાલમાં ઊંચી એનપીએ જેવી સમસ્યાનો સામનો કરી રહેલા કોર્પોરેટ ધિરાણ પર માઠી અસર થશે. બેેંકો અને નાણાકીય સંસ્થાઓની અપેક્ષાઓની જાણકારી મેળવવા માટે આ સર્વે હાથ ધરાયો હતો.
જાહેર ક્ષેત્રની બેેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારાને કારણે સરકારે તાજેતરમાં જ બેડ લોનની રિકવરી માટે ઈનસોલ્વન્સીની પ્રક્રિયા શરૂ કરવા બેેંકોને આદેશ આપવાની સત્તા રિઝર્વ બેેંકને આપી હતી. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેેંકોની એનપીએ રૂ.૬ લાખ કરોડના સ્તરે સ્પર્શી છે. ઊંચી એનપીએથી કોર્પોરેટ્સને ધિરાણ કરવાની બેેંકોની ક્ષમતા પર અસર થાય છે.
જોકે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના ૪૮ની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા(એપ્રિલ-જૂન)નો સીઆઈઆઈ-આઈબીએ ફાઈનાન્સિયલ કન્ડિશન્સ ઈન્ડેક્સ ૫૬.૯ નોંધાયો હતો જે સૂચવે છે કે સર્વેમાં ભાગ લેનારા મોટા ભાગના લોકોનું માનવું છે કે દેશની આર્થિક ગતિવિધિઓમાં સુધારો જોવાશે.