ચોક્કસ માર્કેટ સેગમેન્ટને ટાર્ગેટ બનાવવાની રણનીતી સાથે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તા.૨૦ ઓક્ટોબરે મેંગલોરના લાલબાગ ખાતે વેલ્થ હબનું લોન્ચિંગ કર્યું હતું. આ હબનું ઉદઘાટન એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસબીઆઈ દ્વારા દેશના ૨૧ મોટા સેન્ટરોમાં આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. એસબીઆઈ તેના વેલ્થ હબને અગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૦ સેન્ટર્સમાં વિસ્તારવાની યોજના બનાવી છે. આમ બેન્ક દ્વારા ૨ લાખ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
હબના લોન્ચિંગ બાદ મિડિયા સાથેની વાતચીતમાં ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે બેન્કે તેના વેલ્થના બિઝનેસને એલબીઆઈ વેલ્થ તરીકે રિબ્રાન્ડ કર્યો છે. તેના દ્વારા બેંક પર્સનલાઈઝ બેંકિંગમાં સારામાં સારી સુવિધા આપશે. આ સિવાય તેમાં બેંક દ્વારા ગ્રાહકોને ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ પણ આપવામાં આવશે. જોકે આ સર્વિસ હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝયુઅલ (એચએનઆઈ)ને આપવામાં આવશે. આ માટે બેંક ખાસ રિલેશનશીપ મેનેજરની પણ નિમણૂંક કરશે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ સુધીમાં એસબીઆઈ ૫૦ જેટલા સેન્ટર્સમાં વેલ્થ હબ શરૂ કરશે ત્યારે તેની પાસે ૩૫-૪૦ ટકા એચએનઆઈ ગ્રાહકો હશે.
કુમારે જણાવ્યું હતું કે હાલ એસબીઆઈના વેલ્થ હબ બિઝનેસના ગ્રાહકો ૩૫,૦૦૦ છે જે તેના કુલ ૪૨.૫ કરોડ કરતા ઘણાં ઓછા છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં એસબીઆઈ આ ગ્રાહકોની સંખ્યાને ૨ લાખ સુધી લઈ જવા માંગે છે.